ઉત્તર ભારત બાદ હવે ભારતીય જનતા પાર્ટીનું (BJP) ફોકસ દક્ષિણ ભારતીય રાજ્યોમાં (South Indian states) પાર્ટીનો આધાર મજબૂત કરવા તરફ છે. આ બાબતે ભાજપની નજર પણ તેલંગાણા પર છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે રાજ્યની મુલાકાતે છે. અમિત શાહ નાલગોંડા જિલ્લાના મુનુગોડુ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કરશે. ગૃહમંત્રી અમિત શાહના પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે પણ મુનુગોડુમાં રેલીને સંબોધિત કરી છે. મુનુગોડુ વિધાનસભા બેઠક માટે થઈ રહેલો ચૂંટણી જંગ ભાજપ અને ટીઆરએસ વચ્ચે શક્તિ પ્રદર્શનની ઓળખ રજૂ કરશે. સાથે જ મુનુગોડુ વિધાનસભા બેઠક પર થનારી આગામી ચૂંટણીમાં વિજેતા પક્ષને માનસિક તાકાત પણ પૂરી પાડશે.
તાજેતરમાં, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રાજગોપાલ રેડ્ડીના રાજીનામા પછી, મુનુગોડુ વિધાનસભા બેઠક ખાલી પડી હતી, જેના પર પેટાચૂંટણી યોજાવાની છે અને TRSની સાથે ભાજપ પણ જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. તેલંગાણાના પ્રભારી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગનું કહેવું છે કે રામગોપાલ રેડ્ડી રવિવારે અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાશે. ભાજપ આ નાની જીતને મોટી જીતમાં બદલવાનો ઇરાદો ધરાવે છે. આ સંદર્ભમાં અમિત શાહની મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે અમિત શાહની રેલીના એક દિવસ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR)એ પણ શનિવારે મુનુગોડમાં એક રેલીને સંબોધિત કરી હતી. કેસીઆરની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પણ આ સીટ જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. એટલે કે એમ કહી શકાય કે આ પેટાચૂંટણી આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ અને ટીઆરએસ વચ્ચેની એક મહત્વની હરીફાઈ છે, જે આવનારી ચૂંટણી માટે વિજેતા પક્ષને ઘણી માનસિક તાકાત આપશે.
જો કે એ સ્પષ્ટ કરવું જોઈએ કે ચૂંટણી પંચે હજુ પેટાચૂંટણીની તારીખો જાહેર કરી નથી, પરંતુ ભાજપ અને ટીઆરએસએ ચૂંટણીની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. શનિવારે રેલીમાં કેસીઆરે ભાજપ પર પ્રહાર કરતા લોકોને અપીલ કરી હતી કે મતદાન કરતી વખતે મહિલાઓ તેમના ઘરે રાંધણગેસને સલામ કરીને જાય, જેની કિંમત ઘણી વધી ગઈ છે.
Published On - 12:49 pm, Sun, 21 August 22