કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) શનિવારે ‘હૈદરાબાદ મુક્તિ દિવસ‘ (Hyderabad Liberation Day)પર તેલંગાણા, હૈદરાબાદ-કર્ણાટક અને મરાઠવાડાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન શાહે ભારત સંઘમાં જોડાવા અને ‘રઝાકારો’ના ‘અત્યાચારો’ સામે હિંમતપૂર્વક લડવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી. હૈદરાબાદ રાજ્ય નિઝામના શાસન હેઠળ હતું અને તત્કાલિન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Patel) દ્વારા શરૂ કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીને પગલે 17 સપ્ટેમ્બર, 1948ના રોજ હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું હતું.
શાહે કહ્યું, “તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માને છે કારણ કે તેમણે આ દિવસને ‘હૈદરાબાદ મુક્તિ દિન’ તરીકે સમર્પિત કર્યો છે. હવે લોકો દર વર્ષે તેની ઉજવણી કરે છે. પરંતુ હજુ પણ કેટલાક લોકો ભયના છાયામાં જીવી રહ્યા છે. હું બધાને વિનંતી કરું છું કે આવો અને બને તેટલો આ દિવસ ઉજવો.” તેમણે સિકંદરાબાદમાં લોકોને સંબોધતા આ વાત કહી. આ દરમિયાન, લોકો એ દિવસને યાદ કરી રહ્યા હતા જ્યારે ભૂતપૂર્વ હૈદરાબાદ રાજ્યનું ભારતીય સંઘમાં વિલિનીકરણ થયું હતું.
ભારતમાં તેના વિલીનીકરણ માટે, ઓપરેશન પોલો નામ હેઠળ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે 1948 માં આ દિવસે સમાપ્ત થયું હતું. શાહે ટ્વીટ કર્યું, “તેલંગાણા, હૈદરાબાદ-કર્ણાટક અને મરાઠવાડા ક્ષેત્રના લોકોને હૈદરાબાદ મુક્તિ દિવસની શુભેચ્છા. હું શહીદો અને બહાદુર યોદ્ધાઓને સલામ કરું છું કે જેમણે હૈદરાબાદના ભારત સંઘમાં જોડાણ માટે ક્રૂર નિઝામના શાસન દરમિયાન રઝાકારોના અત્યાચારો સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી.
કેન્દ્ર સરકાર શનિવારે સિકંદરાબાદમાં હૈદરાબાદ લિબરેશન ડે પર એક કાર્યક્રમનું આયોજન કરી રહી છે, જેમાં ગૃહમંત્રી મુખ્ય અતિથિ છે. રઝાકારો એક ખાનગી લશ્કર (મિલિશિયા) હતા જેણે હૈદરાબાદમાં તત્કાલીન નિઝામના શાસનનો બચાવ કર્યો હતો અને હિંદુઓ પર અત્યાચાર કર્યો હતો. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે રઝાકારોએ હૈદરાબાદના ભારત સંઘમાં વિલીનીકરણનો વિરોધ કર્યો હતો.