ભારત સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના (Agnipath Scheme) શરુ કરવામાં આવી છે. જો કે દેશભરમાં તેનો વિરોધ શરુ થઇ ગયો છે. જો કે બીજી તરફ આ યોજનાને સમર્થન આપવા માટે મોટા મોટા દિગ્ગજો હવે મેદાનમાં ઉતર્યા છે. તેમાં યોગ ગુરુ બાબા રામદેવ, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર (Sri Sri Ravi Shankar) અને મુસ્લિમ નેશનલ ફોરમના નામ સામેલ છે. ત્યારે બાબા રામદેવે (Baba Ramdev) વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે જો તેમને વિરોધ કરવો જ હોય તો તેઓ અહિંસક રીતે કરે કારણ કે વિરોધમાં હિંસા અને આગચંપી કરવી ખોટું છે. હિંસા કરવાથી દેશ અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન થાય છે.
બાબા રામદેવે અગ્નિપથ યોજનાના થઇ રહેલા વિરોધને લઇને જણાવ્યુ કે, યુવાનોએ અગ્નિપથ પર ન ચાલવું જોઈએ. પરંતુ અગ્નિપથના વિરોધમાં યોગ માર્ગ પર ચાલવું જોઈએ. તેમણે કહ્યું કે, સરકાર યોજનામાં જરૂરિયાત મુજબ જરૂરી ફેરફારો કરી રહી છે અને યુવાનોએ પોતાની ભાવના જાળવીને અહિંસક રીતે વિરોધ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, જે યુવાનો સેનામાં રહીને દેશની સેવા કરવા માગે છે તે દેશને અગ્નિદાહ આપીને દેશની સેવા કરી શકતા નથી. તેમણે કહ્યું કે, સેનામાં સેવા એક વર્ષની હોય કે ચાર વર્ષની, સરકાર જે પણ નિર્ણય કરે તેનું પાલન કરો.
બાબા રામદેવે કહ્યું કે, અગ્નિપથ યોજના અંગે બુદ્ધિજીવીઓનો અભિપ્રાય આવી ગયો છે, દરેકનો અવાજ સત્તાના કાન સુધી પહોંચ્યો છે અને ચોક્કસ ઉકેલ આવશે. તેથી યુવાનોએ ધીરજ રાખવી જોઈએ અને યુવાનોએ શાંતિ જાળવવામાં યોગદાન આપવું જોઈએ. તેમના સિવાય આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર જેવા નાના દેશો સહિત સમગ્ર વિશ્વમાં એકથી બે વર્ષ સુધી સેનામાં સેવા આપવી ફરજિયાત છે, પણ તેની સરખામણીમાં ભારતની નવી સૈન્ય સેવા યોજના અગ્નિપથ ઉત્તમ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, બલિદાનની ભાવનામાંથી બહાર આવીને દેશની રક્ષા માટે સમર્પિત યુવાનો માટે આ એક અવસર છે. ગેરમાર્ગે ન દોરાવો, તેને યોગ્ય રીતે સમજો અને ઉપલબ્ધ સુવિધાઓ અને તાલીમથી રાષ્ટ્રનું હિત કરો. આ ઉપરાંત મુસ્લિમ રાષ્ટ્રીય મંચે યુવાનોને અગ્નિવીર બનવા અપીલ કરી હતી. એમઆરએમએ કહ્યું કે સરકારની આ યોજના હેઠળ મુસ્લિમ યુવાનોએ તૈયારી શરૂ કરવી જોઈએ. તેમને દેશની સેવા કરવાની વધુ સારી તક મળી શકે નહીં.