Breaking News: રામ મંદિર બાદ આ પ્રસિદ્ધ મંદિરમાં થઈ ‘ચોરી’, 32 કિલો ચાંદીની મૂર્તિ સહિત 1.20 કરોડનો સામાન ‘ગાયબ’
દેશના એક પ્રખ્યાત મંદિરમાં કરોડો રૂપિયાની ચોરી થતાં સનાતન ધર્મના શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મોડી રાત્રે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશેલા તસ્કરો ભગવાનની આશરે 32 કિલો વજનની પવિત્ર ચાંદીની મૂર્તિ સહિત 1.20 કરોડ રૂપિયાથી વધુની કિંમતના દાગીના ચોરી કરી ગયા છે.

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના મુદ્દેબિહાલ તાલુકાના બસરાકોડ ગામમાં આવેલા શ્રી પવાડા બસવેશ્વર મંદિરના ગર્ભગૃહમાંથી 32 કિલો વજનની ચાંદીની મૂર્તિ સહિત 60 કિલોથી વધુ ચાંદીની સામગ્રી ચોરી થઈ ગઈ છે.
શ્રી પવાડા બસવેશ્વરની મૂર્તિની ચોરી 5 જુલાઈ અને 6 જુલાઈની રાત્રે થઈ હતી. આ મૂર્તિની કિંમત અંદાજે 51.20 લાખ રૂપિયા છે. ચોરી થયેલા ચાંદીના કુલ ઘરેણાંની બજાર કિંમત 1.20 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આ ભગવાન બસવેશ્વરને સમર્પિત એક મહત્વપૂર્ણ અને પૂજનીય સ્થળ છે.
રાત્રે તાળા તોડીને લૂંટ
મંદિર સમિતિના અધ્યક્ષ 70 વર્ષીય કરનંદપ્પા બિરદારની ફરિયાદ અનુસાર, ચોરીની ખબર સવારે અંદાજે 4 વાગ્યે પડી જ્યારે ત્યાં રહેતા પૂજારી સાધુ શંકરલિંગે જોયું કે; મંદિરના દરવાજા ખુલ્લા હતા અને તાળા તૂટેલા હતા. મૂર્તિ પોતાના આસન પરથી ગાયબ હતી.
Silver Idol Worth ₹51 Lakh Stolen from Temple in Vijayapura
Vijayapura
A 32‑kg silver idol of Sri Pawada Basaveshwara, valued at approximately ₹51.20 lakh, was stolen from the sanctum sanctorum of the Sri Pawadabasaveshwara #Temple in Basarakod village, Muddebihal taluk in… pic.twitter.com/etK8pdt44h
— Yasir Mushtaq (@path2shah) July 6, 2026
ફરિયાદકર્તાએ જણાવ્યું કે, મંદિરના પૂજારી શરણય્યા સલીમતે 5 જુલાઈએ રાત્રે 9 વાગ્યે સાંજની પૂજા કરી હતી. તેમણે જતા પહેલા અંદર અને બહારના લોખંડના દરવાજા પર તાળા લગાવી દીધા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચોરી રાત્રે 9 વાગ્યાથી સવારે 4:30 વાગ્યાની વચ્ચે થઈ હતી.
મંદિરના સીસીટીવી (CCTV) કેમેરા બંધ મળ્યા
આ ચોરી મંદિર પરિસરની અંદર સંતો અને સંન્યાસીઓ સૂતા હોવા છતાં થઈ હતી. શંકા ત્યારે વધુ ઘેરી બની, જ્યારે ઘટના સમયે મંદિરના સીસીટીવી (CCTV) કેમેરા ચાલુ નહોતા મળ્યા, જેનાથી એવી આશંકા વધી ગઈ છે કે ચોરોએ અગાઉથી યોજના બનાવીને આ ષડયંત્રને અંજામ આપ્યો હતો. મુદ્દેબિહાલ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસની કાર્યવાહી
પોલીસે જણાવ્યું કે, મુદ્દેબિહાલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 305(d) અને 331(4) હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો કારણ કે મંદિર સમિતિએ પોલીસ પાસે જતાં પહેલાં ગ્રામજનો સાથે આ બાબતે ચર્ચા કરી હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે અને ગુનેગારોને શોધવા માટે પોલીસની ટીમો મોકલવામાં આવી છે.
