RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની તમિલનાડુમાંથી ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના છ કાર્યાલયને ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. જે બાદ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનૌના મડિયાવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. લખનૌ પોલીસે જણાવ્યું હતુ કે ગઈકાલે સોમવારે રાત્રે એક વોટ્સએપ ગ્રૂપ દ્વારા લખનૌ ઉપરાંત RSSના અન્ય પાંચ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં યુપીના બે અને કર્ણાટકના ચાર કાર્યાલયનો સમાવેશ થાય છે.
આ વોટ્સએપ ગ્રુપના સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યા છે. જેમાં હિન્દી, અંગ્રેજી અને કન્નડ એમ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં ધમકીઓ આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે જે લોકોએ વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોને ધમકી આપી હતી તેમને શોધી કાઢવામાં આવ્યા છે.
ધમકીની માહિતી પર પોલીસ લખનૌના અલીગંજ સેક્ટર ક્યૂ સ્થિત સરસ્વતી વિદ્યા મંદિર પહોંચી હતી. અહીં આરએસએસના અવધ પ્રાંતના પ્રમુખ પ્રોફેસર નીલકંઠ તિવારીની ફરિયાદ પર મડિયાવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. લખનૌ ઉપરાંત આરએસએસના અન્ય પાંચ કાર્યાલયને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મડિયાવ પોલીસે જણાવ્યું કે આ મામલામાં કલમ 507 અને આઈટી એક્ટ 66 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દી, અંગ્રેજી અને કન્નડ એમ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં ધમકીઓ આપવામાં આવી હતી.
પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, વોટ્સએપ ગ્રુપ દ્વારા ધમકી મળી હતી. આમાં એક RSS કાર્યકર આમંત્રણ લિંક દ્વારા ‘અલ ઇમામ અંસાર રઝી ઉન મહેંદી’ નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો. આ દરમિયાન ઘણા વોટ્સએપ ગ્રુપમાં લિંક શેર કરવામાં આવી હતી. જ્યારે આરએસએસ કાર્યકરને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની અને બાદમાં આરએસએસની ઓફિસોને ઉડાવી દેવાની ધમકીની જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો. આ પછી તેણે તરત જ અવધ પ્રાંતના પાદધિકારીને જાણ કરી. બાદમાં મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ, અલ અન્સારી ઇમામ રઝી ઉન મહેંદી નામના વોટ્સએપ ગ્રુપમાં ત્રણ અલગ-અલગ ભાષાઓ કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા. હિન્દીમાં ધમકીઓ આપવામાં આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે, ‘નવાબગંજ ઉત્તર પ્રદેશ 271304. તમારી છ પાર્ટી ઓફિસ પર 8 વાગ્યે બોમ્બથી હુમલો કરવામાં આવશે. જો અટકાવી શકાતો હોય તો વિસ્ફોટને અટકાવી લો. જ્યારે અંગ્રેજીમાં આપવામાં આવેલી ધમકીમાં લખ્યું હતું, ‘V49 R+J8G Nawabganj uttarpradesh 271304: Your six party office is bombed at 8 pm stop the explosion if u can. (નવાબગંજ ઉત્તરપ્રદેશ 271304: તમારી છ પાર્ટી ઓફિસ પર રાત્રે 8 વાગ્યે બોમ્બ ધડાકાથી ઉડાવી દેવાશે, અટકાવી શકો તો અટકાવો) મેસેજમાં નવાબગંજ ઉપરાંત ધ સરસ્વતી લખનૌના સેક્ટર ક્યૂમાં સ્થિત વિદ્યા મંદિરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Published On - 1:45 pm, Tue, 7 June 22