ઈન્દિરા ગાંધીના 10 મહત્વના નિર્ણયો, જે હંમેશા યાદ રખાશે
આજે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ છે. 19મી નવેમ્બર 1917માં, અલ્હાબાદમાં જન્મેલા ઈન્દિરા ગાંધીને, લોકોએ લોખંડી મહિલા તરીકેનું બિરુદ આપ્યુ હતું. ઈન્દિરા ગાંધી એ સમયે ભારતના વડાપ્રધાન બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાં એક મજબુત સિન્ડીકેટ ચાલતી હતી. સિન્ડીકેટને લાગતુ હતુ કે, લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ કોઈ દમદાર, શક્તિશાળી અને લોકપ્રિય વ્યક્તિ વડાપ્રધાન બને તો તેમને […]
આજે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ છે. 19મી નવેમ્બર 1917માં, અલ્હાબાદમાં જન્મેલા ઈન્દિરા ગાંધીને, લોકોએ લોખંડી મહિલા તરીકેનું બિરુદ આપ્યુ હતું. ઈન્દિરા ગાંધી એ સમયે ભારતના વડાપ્રધાન બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાં એક મજબુત સિન્ડીકેટ ચાલતી હતી. સિન્ડીકેટને લાગતુ હતુ કે, લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ કોઈ દમદાર, શક્તિશાળી અને લોકપ્રિય વ્યક્તિ વડાપ્રધાન બને તો તેમને પોતાના કહ્યામાં રાખી નહી શકાય. આથી જ સિન્ડીકેટે મોરારજી દેસાઈ જેવા મજબુત અને શક્તિશાળી નેતાનું પત્તુ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કાપી નાખ્યુ.
કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ કામરાજે ઈન્દિરા ગાંધીને એટલા માટે વડાપ્રધાન બનાવ્યા કે દેશના સૌથી લોકપ્રિય નેતા એવા જવાહરલાલ નહેરુના પૂત્રી હોવા સાથે મૂંગી છોકરી લાગી હતી. વડાપ્રધાન બન્યા બાદ, ઈન્દિરા ગાંધી પોતાની સ્થિતિ મજબુત કરવાની સાથે સાથે સિન્ડીકેટને વેર વિખેર કરી નાખી. એટલુ જ નહી, એક પછી એક મહત્વના નિર્ણય લેતા ગયા. જેને દેશની જનતાએ પણ સાથ આપતા તેઓ લોખંડી મહિલા તરીકે ઉભરી આવ્યા.
વડાપ્રધાન તરીકે ઈન્દિરા ગાંધીએ અનેક નિર્ણયો લીધા હતા. જે પૈકી કેટલાક નિર્ણય ખુબ જ ચર્ચામાં રહ્યાં. જો કે જે તે સમયે મહત્વપૂર્ણ કહી શકાય તેવા ઈન્દિરા ગાંધીએ લીધેલા નિર્ણયો પૈકી 10 મહત્વના નિર્ણયો પર કરીએ એક નજર.
અમેરિકા સાથે અનાજ માટેના કરાર અને રૂપિયાનું અવમૂલ્યાકન દેશમાં અનાજની ભારે તંગી ઊભી થઈ હતી. દેશની અનાજની જરૂરીયાત પૂરી કરવા માટે ઈન્દિરા ગાંધીએ અમેરિકાની મુલાકાત દરમિયાન અનાજ માટેના કરાર કર્યા જેના પગલે, અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોનસને 6.7 મિલીયન ટન અનાજ ભારત મોકલ્યુ, જેનાથી દેશની જરૂરીયાત પૂરી કરાઈ. જો કે અમરિકા અનાજ આપવાની સામે બે શરત રાખી હતી જેમા વિયેતનામના યુધ્ધમાં અમેરિકાને સાથ આપવો અને દેશમાં રૂપિયાનું અવમુલ્યાકન કરવું આ બન્ને શરતો સામે વિરોધ થયો. પણ લોખંડી મનોબળ ધરાવતા ઈન્દિરા ટસના મસ ના થયા. ભારતની અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ પણ, ત્યારથી માંડીને આજ દિવસ સુધી દેશ કાયમ માટે અનાજની જરૂરીયાત પૂરી કરતો થઈ ગયો.
બેંકોનું રાષ્ટ્રીયકરણ 1966માં દેશમા બેંકોની શાખાઓ માત્ર 500ની આજુબાજુ જ હતી. જેનો ફાયદો નાંણા ધીરધાર કરનારા અને પૈસાદાર લોકો ઉઠાવતા હતા. બેંકોની રાષ્ટ્રીયકરણ કર્યા બાદ, તેનો લાભ સામાનય લોકોને મળતો થયો. અને લોકો તેમની બચત બેંકમાં મૂકતા તથા જરૂરીયાત પ્રમાણે બેંકમાંથી ઉછીના નાણા લેતા થયા. બેંકોનુ રાષ્ટ્રીયકરણ કરાયુ ત્યારે સત્તાના કેન્દ્રીકરણ અને ઈન્દિરાની મનમાની તરીકે જોવામાં આવ્યો હતો.
રાજા રજવાડાઓના ભથ્થા બંધ કર્યા આઝાદી સમયે, 550થી વધુ રાજા અને રજવાડાઓ ભારત દેશમાં વિલય થવાનું નક્કી કર્યુ. જેના માટે તત્કાલિન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે, રાજા અને રજવાડાઓને ભથ્થુ આપવાનું નક્કી કર્યુ હતું. રાજા અને રજવાડાઓમાં નાણાની ક્યારેય તંગી નથી, પરંતુ ભારત જેવા ગરીબ દેશને આ પ્રકારના ભથ્થા આપવા પોષયા તેમ ના હોવાનું કહીને, ઈન્દિરા ગાંઘીએ 1969માં સંસદમાં ભથ્થા આપવાનુ બંધ કરવાનો ઠરાવ મૂક્યો. જો કે રાજ્યસભામાં આ ઠરાવ પાસ ના થયો. જો કે ઈન્દિરા ગાંધી 1971માં જીતીને ફરી સત્તા પર આવતા જ આ ઠરાવ બહુમતીએ પાસ કરાવ્યો. આ નિર્ણયને પગલે સરકારી તિજારી ઉપરનો ભાર હળવો થયો પરતુ રાજકિયસ્તરે આ મુદ્દે ભારે ઉહાપોહ મચ્યો.
કોંગ્રેસનું વિભાજન કોંગ્રેસની સિન્ડીકેટના કહ્યામાં ના રહેતા, ઈન્દિરા ગાંધીને 1969માં હોદ્દા પરથી ઉતારી દેવા સિન્ડીકેટ તૈયારી કરી રહ્યું હતું. આ વાતની જાણ ઈન્દિરા ગાંધીને થઈ ગઈ કે તેમને ઉથલાવવા માટે, સિન્ડીકેટ દ્વારા રાજકીય ષડયંત્ર રચાઈ રહ્યું છે. ઈન્દિરા ગાંધીએ રાજકીય સોગઠાબાજી ગોઠવવાનુ શરૂ કર્યુ. જેના ભાગરૂપે રાષ્ટ્રપતિની ચુંટણીમાં ડાબેરીપક્ષના ઉમેદવાર વી વી ગીરીને ટેકો આપતા કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નિલમ સંજીવ રેડ્ડી હાર્યા. આ મુદ્દે સિન્ડીકેટે, શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે ઈન્દિરા ગાંધીની પક્ષમાંથી હકાલપટ્ટી કરી. તો ઈન્દિરા ગાંધીએ પક્ષની અંદર જ બીજો પક્ષ રચ્યો. જેને જિદ, હિટલરશાહી, ભાગલા પાડો અને રાજ કરો, વધતી જતી રાજકીય મહત્વાકાંક્ષા તરીકે જોવાયો. જો કે સમય વિતતા, દેશની જનતાએ સિન્ડીકેટ વાળી કોંગ્રેસને પરાસ્ત કરી અને ઈન્દિરા વાળી કોંગ્રેસને વિજયથી વધાવી લીધી.
હરિત-શ્વેત ક્રાંતિ વડાપ્રધાન તરીકે ઈન્દિરા ગાંધી દેશમાં અનાજની જરૂરીયાત દેશમાંથી જ પૂરી થાય તેના પર ભાર આપી રહ્યાં હતા. સાથાસાથ તેમણે દેશમાં દુધનું ઉત્પાદન વધે તેના પર ભાર મૂક્યો. કૃષિ સુધાર નીતી, વિદેશથી કૃષિ નિષ્ણાતોની સલાહ, દેશમાં ખેતી ક્ષેત્રની સંસ્થાઓ ઊભી કરવા જેવા અનક પગલાઓ લઈને હરીત ક્રાતિ સર્જી તો પશુપાલકોને વધુ નાણા મળે તે માટે સહકારી મંડળીઓને પ્રોત્,સાહન આપીને દુધના ઉત્પાદન વધારીને શ્વેત ક્રાંતિ સર્જી.
પરમાણુ બોંબ ભારતના પડોશી એવા ચીન પરમાણુ શક્તિથી મજબુત થઈ ગયો હતો. ચીન આપણને પરમાણુ બોબની તાકાત નીચે દબાવી ના રાખે તે માટે ઈન્દિરા ગાંધીએ પરમાણુ શક્તિને પોતાના એજન્ડામાં અગ્રતા આપી. દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહીત કરીને 1974માં પોખરણમાં સ્માઈલીગ બુધ્ધા ( હસતા બુધ્ધના) નામના ઓપરેશથી ભારતે અણુબોબનું પરિક્ષણ કરીને સમગ્ર વિશ્વને ચોકાવી દિધુ. પોખરણના રણમાં કરાયેલા એક જ ધડાકાએ વિશ્વભરમાં અનેક ધડાકાઓ સર્જયા. અને ભારતની ગણના અણુરાષ્ટ્રોમાં થવા લાગી.
પાકિસ્તાનના ભાગલા ભારત પાકિસ્તાનના ભાગલા બાદ, પાકિસ્તાન ભારતને બે તરફથી (પૂર્વ અને પશ્ચિમ) હેરાન પરેશાન કરતુ આવ્યુ હતું. પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલનું બાગ્લાદેશ અને પશ્ચિમ પાકિસ્તાન એટલે વર્તમાન પાકિસ્તાન. પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાન તરફથી દમન ગુજારવામાં આવતુ હતું. જેના કારણે પૂર્વ પાકિસ્તાનમાંથી લોકો ભારતમાં શરણાર્થી બનીને ઘુસણખોરી કરી રહ્યાં હતા. આ મુદ્દે ભારતે પાકિસ્તાનને ચેતવણી પણ આપી કે તમારા દેશમાંથી અમારા દેશમાં લોકોની ધૂસણખોરી રોકો. માહોલ યુધ્ધ જેવો થઈ ગયો. અમેરિકાએ પાકિસ્તાનનો પક્ષ લીધો કહ્યુ કે ભારત જો કાઈ પણ કરશે તો તેના પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ઘમકી ઉચ્ચારી. ઈન્દિરા ગાંધીએ અમેરિકાની ધમકીને અવગણીને પૂર્વ પાકિસ્તાનમાં સૈના મોકલી યુદ્ધ કર્યુ. અને પાકિસ્તાનની સેનાને ઘૂંટણીએ પાડીને પાકિસ્તાનના બે ભાગલા કર્યા. પૂર્વ પાકિસ્તાનને બદલે બાગ્લાદેશ સર્જયુ અને બાગ્લાદેશ બનાવવા માટે લડત લડતા લડવૈયાઓને સત્તા ઉપર આવવામાં મદદ કરી. અમેરિકા ઈચ્છવા છતા ભારત વિરુધ્ધ કાંઈ ના કરી શક્યુ. આ પગલાએ ઈન્દિરા ગાંધીની છબી વિશ્વભરમાં લોંખડી મહિલા તરીકે ઉપસી આવી.
ગરીબી હટાવો 1971માં વિપક્ષે ઈન્દિરા હટાવોના નારો ગુંજતો કર્યો. જેની સામે ચૂંટણી જીતવા માટે ઈન્દિરાએ ગરીબી હટાવોનો નારો પ્રચલિત કરીને સત્તા પર આવ્યા. જો કે પોતાના ગરીબી હટાવો નારાને સાર્થક કરવા માટે ઈન્દિરાએ, ગ્રામવિકાસ, કામદાર, મજૂર વગેરે ઉપર વિશેષ ધ્યાન અને નાણા ફાળવણી કરી છતા ગરીબી હટાવોમાં નિષ્ફળ રહ્યા. પંરતુ વિપક્ષના ઈન્દિરા હટાવોની સામે અપાયેલા ગરીબી હટાવોના નારા ઉપર લડાયેલી ચૂટણીમાં બહુમતી મેળવી ઈન્દિરા ગાંધી સત્તા ઉપર આવ્યા.
કટોકટી વડાપ્રધાન તરીકે ઈન્દિરાએ દેશમાં કટોકટી લાદી હતી. ઈન્દિરા ગાંધીના કટોકટી લાદવાના વિવાદસ્પદ નિર્ણયની આજે પણ ટીકા કરવામા આવે છે. સમગ્ર બનાવની વિગત એવી છે કે, 1971માં રાયબરેલી બેઠક પરથી ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી લડી રહેલા તમામ વિપક્ષના સર્વમાન્ય એટલે કે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર રાજનારાયણે ચૂટણીમાં ગેરરીતી આચરવા અને સરકારી મશીનરીના દુરઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો. જેના પર અલ્હાબાદ હાઈકોર્ટે 12 જૂન 1975ના રોજ લોકસભાની ચૂંટણી રદ કરી નાખવા સાથે ઈન્દિરા ગાંધીના ચૂંટણી લડવા પર 6 વર્ષ માટે પ્રતિબંધ ફરમાવ્યો. આ ચૂકાદાને લઈને વિપક્ષે ઈન્દિરા ગાંધીનુ રાજીનામુ માગ્યુ. જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં તમામ વિપક્ષ એક થયા અને દેશભરમાં આંદોલન શરૂ થયુ. વિપક્ષની એકતા અને દેશમાં થઈ રહેલા આંદોલનથી ઈન્દિરા ગાંધીને સત્તા ઉથલી જવાનો ડર લાગ્યો. અને તેના કારણે ઈન્દિરા ગાંધીએ દેશમાં રાતોરાત ઈમરજન્સી એટલે કે કટોકટી લાદી. કટોકટીને કારણે નાગરીકોના મૂલભૂત અધિકારો છિનવાયા. અખબારોની આઝાદી છિનવાઈ. સરકાર વિરુધ્ધ બોલનારા કે કામ કરનારાને પકડી પકડીને જેલમાં પૂરવામાં આવ્યા. અનેક લોકોની ધરપકડ કરાઈ. આઝાદ ભારતમાં ક્યારેય ના થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ લોકો નારાજ થતા ઈન્દિરાએ 1977માં કટોકટી હટાવીને ચૂંટણી જાહેર કરી. પરતુ કટોકટીથી નારાજ દેશની પ્રજાએ ઈન્દિરાને કારમી હાર આપી.
ઓપરેશન બ્લુસ્ટાર પંજાબને ખાલિસ્તાન બનાવવાની માંગ સાથે આતંકવાદ વકરી રહ્યો હતો. પંજાબને બદલે દેશના વિભિન્ન રાજયોમાં પણ ખાલીસ્તાન તરફી આતંકવાદ વકર્યો. જનરૈલસિંહ ભિંડરાવાલે ખાલિસ્તાનના વડા બની બેઠા અને સુવર્ણ મંદિરને મુખ્ય મથક બનાવ્યુ. સુવર્ણ મદિરમાં અનેક શીખ શરણાર્થીઓ બન્યા. જ્યા મોટી માત્રામાં હથિયારો એકઠા કરાઈ રહ્યાં હતા. બીજા શબ્દોમાં કહીએ તો સુવર્ણ મંદિર, ખાલીસ્તાન તરફી આતંકવાદીનો ગઢ બની ગયુ હતુ. સુવર્ણ મંદિરમાંથી જનરૈલસિંહ ભિંડરાવાલે તગેડી મૂકવા માટે ઈન્દિરાએ 4 જૂન 1984ના રોજ સૈન્યને તમામ પ્રકારની છુટ આપીને આદેશ આપ્યો. જેના પગલે સૈન્યે ઓપરેશન બ્લુસ્ટાર નામે હાથ ધરેલ કામગીરીમાં સુવર્ણ મંદિરમાં જ જનરૈલસિંહ ભિંડરાવાલે અને તેના સાથીદારોને મારી નાખ્યા. સામેસામે ચાલેલી લડાઈમાં સુવર્ણ મંદિરને ભારે નુકસાન થયુ હતું. મંદિર પરિસરમાં અનેક લોકો માર્યા ગયા હતા. જેના કારણે શીખ સમુદાયની લાગણી ભડકી ઉઠી હતી. ઈન્દિરા ગાંધી પ્રત્યે શીખોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી. સુવર્ણ મંદિરમાં કરાયેલા ઓપરેશન બ્લુસ્ટારનો બદલો લેવા માટે ઈન્દિરા ગાંધીના શીખ સિક્યોરિટી ગાર્ડે 31 ઓકટોબર 1984ના રોજ વડાપ્રધાનના નિવાસસ્થાને ગોળીઓ ધરબીને કરપીણ હત્યા કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો