મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી મહા વિકાસ આઘાડી (MVA)ને પરાજયનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય કેટલાક ધારાસભ્યો ગુજરાતના સુરત શહેરની એક હોટલમાં પડાવ નાખ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીના નેતૃત્વથી નારાજ કેટલાક ધારાસભ્યો સોમવારે રાત્રે સુરત પહોંચ્યા હતા અને અહીંની લે મેરીડિયન હોટલમાં રોકાયા છે.
એક સૂત્રના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે સહિત શિવસેનાના કેટલાક ધારાસભ્યો સુરતમાં હાજર છે. હોટલની બહાર સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમે મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર માટે મુશ્કેલી (Maharashtra political Crisis) ઊભી કરી છે. મળતી માહિતી મુજબ, સુરતની હોટલમાં મહારાષ્ટ્રના 5 કેબિનેટ મંત્રીઓ સહિત કુલ 25 ધારાસભ્યો હાજર છે. સોમવારે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાન પરિષદની 10 બેઠકો માટેની ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (BJP)એ તમામ 5 બેઠકો જીતી લીધી હતી. જેના પર તેણે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને બે-બે બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.
રાજ્યસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહા વિકાસ આઘાડી (MVA) માટે આ બીજો મોટો આંચકો છે. MVAમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. અગાઉ મુંબઈમાં શિવસેનાના એક નેતાએ મંગળવારે કહ્યું હતું કે રાજ્યના મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેનો સંપર્ક થઈ શક્યો નથી. તેમણે કહ્યું કે, શિંદે કેટલાક ધારાસભ્યો સાથે ગુજરાતમાં હોઈ શકે છે.
નેતાએ શિંદે સાથે રહેલા ધારાસભ્યોની સંખ્યા અને વિગતો જાહેર કરી ન હતી. મુંબઈના કેટલાક ઉપનગરોમાં શિંદેનો પ્રભાવ છે. નેતાએ કહ્યું કે, તેઓ (શિંદે) સોમવારે વિધાનસભા સંકુલમાં શિવસેના કાર્યાલયમાં હતા ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ત્યાં હાજર હતા. પરંતુ તે પછી તેના વિશે કોઈ જાણતું નથી. તેઓ (વિધાન પરિષદની ચૂંટણી માટે) મત ગણતરી દરમિયાન હાજર ન હતા. જો કે મળતી માહિતી મુજબ સુરતની હોટલમાં કુલ 25 ધારાસભ્યો હાજર છે, જેઓ શિવસેનાના નેતૃત્વનો સંપર્ક કરી શક્યા નથી. તેમાં રાજ્યના 5 મંત્રીઓ પણ સામેલ છે.