ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી (Omicron variant) સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. 45 વર્ષીય એનઆરઆઈ અને તાજેતરમાં બ્રિટનથી ગુજરાત પરત આવેલા એક કિશોરનું કોરોના વાયરસના (corona virus) ઓમિક્રોન વેરીઅન્ટ માટેનું ટેસ્ટીંગ પોઝિટીવ આવ્યા પછી રવિવારે ભારતમાં કુલ કેસોની સંખ્યા વધીને 145 થઈ ગઈ છે. કેન્દ્રીય અને રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો-મહારાષ્ટ્રમાં 48, દિલ્હીમાં 22, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 14, તેલંગાણામાં 20, ગુજરાતમાં 9, કેરળમાં 11, આંધ્રપ્રદેશમાં 1, ચંદીગઢમાં 1, તમિલનાડુમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 1 ઓમિક્રોનનો કેસ મળી આવ્યો છે.
શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ચેપના 854 નવા કેસ નોંધાયા હતા, જેમાં આઠ દર્દીઓમાં કોરોનાના નવા વેરીઅન્ટ ઓમિક્રોનનું સંક્રમણ છે. આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. વિભાગના જણાવ્યા અનુસાર હવે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 66,48,694 થઈ ગઈ છે, જ્યારે વધુ 11 દર્દીઓના મૃત્યુ સાથે મૃત્યુઆંક 1,41,340 પર પહોંચી ગયો છે. હેલ્થ બુલેટિનમાં જણાવાયું છે કે રાજ્યમાં ઓમિક્રોન ચેપના વધુ આઠ કેસ નોંધાયા છે, ત્યારબાદ આવા દર્દીઓની સંખ્યા વધીને 48 થઈ ગઈ છે.
રવિવારે મુંબઈમાં કોરોના વાઈરસના સંક્રમણના કેસોમાં ઉછાળો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં અહીં 336 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જે 10 નવેમ્બર પછી શહેરમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. 10 નવેમ્બરે અહીં 347 નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. જેથી સરકારમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
ચેપના ફેલાવાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ લોકોને બિન-જરૂરી મુસાફરી અને સામૂહિક મેળાવડા ટાળવા અને નવા વર્ષની મોટાપાયે ઉજવણી ન કરવાની સલાહ આપી છે. 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયા પછી ભારતમાં 2 ડિસેમ્બરે કર્ણાટકમાં ઓમિક્રોનના પ્રથમ બે કેસની પુષ્ટિ થઈ હતી.
ઓમિક્રોન વેરીઅન્ટ વિશે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ શનિવારે તેના ફેલાવાને રોકવા માટે જાહેર આરોગ્ય સુવિધાઓ અને સામાજિક ઉપાયો તાત્કાલિક વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. WHO દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના પ્રાદેશિક નિર્દેશક પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું કે દેશો નક્કર સ્વાસ્થ્ય અને સામાજિક પગલાં વડે ઓમિક્રોનના ફેલાવાને રોકી શકે છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ” અમારું ધ્યાન સૌથી વધુ જોખમ ધરાવતા લોકોની સલામતી પર રહેવું જોઈએ.”