Mumbai: શનિવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગર શહેરમાં એક મકાનનો સ્લેબ તૂટી પડતાં ઓછામાં ઓછા 11 લોકોને બચાવવામાં આવ્યા હતા અને પાંચ લોકો ફસાયા હોવાની આશંકા છે. મુંબઈ નજીક આવેલા થાણેના ઉલ્હાસનગર જિલ્લામાં આ ઘટના બપોરે 1.40 આસપાસ વાગ્યે બની છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા સંતોષ કદમે જણાવ્યું હતું કે આ ઘટના કેમ્પ નંબર 1માં ગ્રાઉન્ડ-ફ્લોર અને ચાર માળની રહેણાંક મકાનમાં બની હતી. તેમણે જણાવ્યું હતું કે ચોથા માળે એક સ્લેબ અન્ય સ્લેબ ઉપર તૂટી પડ્યો, આ દરમિયાન લોકો આમાં ફસાતા ગયા. સ્થાનિક ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ કરી હતી.
જેમાં કાટમાળમાંથી 11 રહેવાસીઓને બચાવવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને ફાયરના જવાનો લોકોને બચાવવા મદદ કરી રહી છે.
આ પણ વાંચો: Cyclone Tauktae : ગૃહ વિભાગની એડવાઇઝરી, ગુજરાતમાં ત્રણ દિવસ રહેશે વાવાઝોડાની અસર