મહારાષ્ટ્રમાં (Maharashtra) ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના (Shivsena)બળવાખોર નેતા એકનાથ શિંદેએ(Eknath Shinde) મોટું નિવેદન આપ્યું છે. એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હું હિંદુત્વનું સમર્થન કરું છું. પાર્ટીએ ફરી હિંદુત્વના મુદ્દે ભાજપની સાથે જવું જોઈએ. એકનાથ શિંદેએ એમ પણ કહ્યું કે મારો પક્ષ છોડવાનો કોઈ વિચાર નથી. એકનાથ શિંદેએ પહેલા CM ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકર સાથે લગભગ 20 મિનિટ ફોન પર વાત કરી અને તેમની સામે ઘણી શરતો મૂકી. ઉદ્ધવે શિંદેને મુંબઈ પાછા આવીને વાત કરવા પણ સમજાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackearay) સાથે ફોન પર ચર્ચા કરતી વખતે એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું, “તમે તમારું જુઓ, અમે એમારૂ જોઈ લઈશુ.” એકનાથ શિંદેએ પણ ખુલ્લેઆમ શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉત(Sanjay Raut) સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એકનાથ શિંદેએ કહ્યું કે, પાર્ટીએ મને ધારાસભ્ય દળના નેતા પદ પરથી કેમ હટાવ્યો ? મેં ન તો નવો પક્ષ બનાવ્યો કે રાજીનામું આપ્યું, તો પછી આ નિર્ણય કેમ લીધો ? કોઈપણ રીતે, મને વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તો પછી આ નિર્ણયનો આધાર શું છે ? હું માત્ર પક્ષના ભલા માટે જ માંગ ઉઠાવી રહ્યો છું, મારા અંગત સ્વાર્થ માટે નહીં.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી ગઠબંધનને પરાજયનો સામનો કર્યાના એક દિવસ બાદ શિવસેનાના મંત્રી એકનાથ શિંદે અને કેટલાક અન્ય ધારાસભ્યોએ બળવો કર્યો છે. ગુજરાતમાં સુરતની હોટેલમાં ધામા નાખ્યા બાદ બળાવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે.મહત્વનું છે કે, શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)નો ભાગ છે.
Published On - 8:30 am, Wed, 22 June 22