પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM Mamata Banerjee) મંગળવારે મુંબઈ આવ્યા હતા. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ઉદ્યોગપતિઓની બેઠક બોલાવી હતી. તેમને બંગાળ આવવા આમંત્રણ આપ્યું. આ અંગે મહારાષ્ટ્ર ભાજપ તરફથી ટીકાઓ થઈ હતી. ધારાસભ્ય આશિષ શેલારે (Ashish Shelar, BJP) કહ્યું હતું કે તે એક ષડયંત્ર હેઠળ મુંબઈ આવી છે અને શિવસેના આ ષડયંત્રમાં તેમનો સાથ આપી રહી છે. તે ઉદ્યોગપતિઓને મળીને મહારાષ્ટ્રના ઉદ્યોગો અને રોજગારીને બંગાળમાં લઈ જવા માંગે છે.
આજે (5 ડિસેમ્બર, રવિવાર) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut in Saamana) શિવસેનાના મુખપત્ર સામનામાં તેમના લેખ દ્વારા જવાબ આપ્યો છે. સંજય રાઉતે તેમના ‘સામના’માં લખેલા લેખમાં મહારાષ્ટ્ર ભાજપને પૂછ્યું છે કે, ‘ઉદ્યોગપતિઓને મળવા મુંબઈ આવવામાં ખોટું શું છે? મુંબઈ દેશની ઔદ્યોગિક અને આર્થિક રાજધાની છે.
દેશની તિજોરીમાં એકલું મુંબઈ શહેર 2.25 લાખ કરોડ રૂપિયાનું યોગદાન આપે છે. એ ભૂલી શકાય નહીં કે મુંબઈ દેશનું પેટ ભરે છે. મમતા બેનર્જીની મુંબઈ મુલાકાત પર ટિપ્પણી કરનાર ભાજપ નેતૃત્વ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની મુંબઈની હલચલ સામે વાંધો ઉઠાવવા કેમ તૈયાર નથી?
સંજય રાઉતે પૂછ્યું, ‘મમતા બેનર્જી પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની અડધી કેબિનેટ સાથે મુંબઈ આવ્યા હતા. તેઓ મુંબઈના ઉદ્યોગપતિઓને ‘વાઈબ્રન્ટ ગુજરાત’ માટે ગુજરાતમાં આવવા આમંત્રણ આપવા આવ્યા હતા. ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે તેમને મુંબઈના ઉદ્યોગપતિઓની મદદની જરૂર છે. એટલે કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અને અર્થતંત્ર મુંબઈ પર નિર્ભર છે. પટેલ ઉદ્યોગપતિઓને મળવા મુંબઈ આવે તેમાં કોઈ વાંધો નથી પણ મમતા દીદી ઉદ્યોગપતિઓને મળે તો શું વાંધો છે?’
શિવસેનાના સાંસદે આગળ લખ્યુ છે કે ‘યોગી આદિત્યનાથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મુંબઈથી લખનૌ લઈ જવા આવ્યા હતા. તેના પર પણ ભાજપે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. મુંબઈના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રને રાતોરાત અમદાવાદ ખેંચી ગયા. ભાજપે આ લૂંટ અંગે પણ કોઈ ટિપ્પણી કરી નથી તો પછી મમતા બેનર્જીની મુંબઈ મુલાકાતને લઈને હોબાળો શા માટે?
આ પછી સંજય રાઉતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુંબઈ મુલાકાત અને મમતા બેનર્જીની મુંબઈ મુલાકાત વચ્ચેના મોટા તફાવત તરફ ધ્યાન દોર્યું છે. તેમણે લખ્યું છે કે ‘મને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુંબઈ મુલાકાત યાદ આવી રહી છે. તેઓ મુંબઈના વેપારીઓને ગુજરાતમાં આવવાનું આમંત્રણ લઈને આવ્યા હતા અને મુંબઈને જ બદનામ કરીને ગયા હતા. ‘મુંબઈમાં શું રાખ્યું છે? અહીંના રસ્તાઓ પણ ખરાબ છે. એટલા માટે ગુજરાત ચાલો.’ એમ તેમણે કહ્યું હતું.
ત્યારપછી મહારાષ્ટ્રમાં રોષની લહેર જોવા મળી હતી. મમતા બેનર્જીએ ઉદ્યોગપતિઓને મુંબઈના વિકાસની પ્રશંસા કરી અને તેમને બંગાળ તરફ પણ જોવા કહ્યું હતું. મહારાષ્ટ્રે પશ્ચિમ બંગાળના વિકાસ માટે પણ સહકાર આપવો જોઈએ.
આ પણ વાંચો : શું ભારતમાં આવી રહી છે કોરોનાની ત્રીજી લહેર ? ઓમિક્રોન સહીતના આંકડાઓએ વધારી ચિંતા