ઉદ્ધવ સરકારમાં (Government of Uddhav Thackeray ) મંત્રી એકનાથ શિંદેના (Eknath Shinde) બળવા બાદ મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં (Saamana editorial) ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, ભાજપ મહારાષ્ટ્ર સરકારને તોડી પાડવાની એક પણ તક છોડતી નથી. અજિત પવાર એપિસોડ અઢી વર્ષ પહેલા શરૂ થયો હતો. તેમાં કોઈ સફળતા મળી ન હતી. હવે એ જ અશાંત આત્માઓ એકનાથ શિંદેને આગળ ધરીને ઓપરેશન ‘કમળ’ કરી રહ્યા છે.
સામનામાં શિવસેનાએ લખ્યું છે કે, “મુંબઈ પર કબજો કરવો હોય તો શિવસેનાને અસ્થિર કરો, આ મહારાષ્ટ્ર વિરોધીઓની નીતિ છે, પરંતુ મહારાષ્ટ્ર શાણાઓનું રાજ્ય છે.”વિકાસમાં અન્ય રાજ્યો કરતાં મહારાષ્ટ્ર બે ડગલાં આગળ છે. ભાજપ પર આરોપ લગાવતા સામનામાં લખવામાં આવ્યું છે કે વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનાના દસ ધારાસભ્યોને ઉપાડી ગુજરાત લઈ જવામાં આવ્યા હતા. જ્યારે તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો તો તે ધારાસભ્યોને માર મારવામાં આવ્યો.
મુખપત્રમાં વધુમાં લખ્યું છે કે, મહારાષ્ટ્રમાં સત્તાની મસ્તી નહીં ચાલે. કેન્દ્રીય સત્તાની મસ્તી બતાવીને મહારાષ્ટ્રમાં તોડફોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. “માતાનું દૂધ વેચનારા બાળકો શિવસેનામાં નથી, એવું શિવસેના પ્રમુખ હંમેશા કહેતા હતા.” એવા લોકો શિવસેનામાં પેદા થાય તે મહારાષ્ટ્રની ધરતીનુ અપમાન છે. શિવસેના મા છે. માતાની શપથ લઈને રાજકારણ કરનારાઓએ માતાના દૂધનું બજાર શરૂ કરી દીધુ છે. દૂધના બજાર માટે સુરતની પસંદગી કરવામાં આવી હતી.
શિવસેનાએ કહ્યું, મહારાષ્ટ્ર પર હુમલો કરનારાઓ અને મહારાષ્ટ્રને દગો આપનારાઓનું શું થશે ? ધર્મના માસ્ક હેઠળ અનીતિનું સમર્થન કરનારાઓને જનતા માફ કરશે ? આ એક સળગતો પ્રશ્ન છે. શિવસેનાને સંકટ અને તોફાનોનો સામનો કરવાની આદત છે. ફરી એકવાર ગુજરાતની ધરતી પર લહેરાતા આ ઈતિહાસને સમજી લો કે ગુજરાતમાં આ ટોળકી ભલે દાંડિયા રમે, પણ મહારાષ્ટ્રમાં તો તલવારથી તલવારથી લડશે, એ નિશ્ચિત છે.