Maharashtra Floor Test : શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેના બળવાને પગલે ભાજપના સમર્થનથી સત્તામાં આવેલી નવી મહારાષ્ટ્ર સરકાર સોમવારે ફ્લોર ટેસ્ટનો (Floor Test) સામનો કરશે. રાજ્ય વિધાનસભાના વિશેષ સત્રનો સોમવારે બીજો દિવસ છે. આ પહેલા રવિવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) એ ફ્લોર ટેસ્ટ વ્યૂહરચના ઘડવા માટે મુંબઈની એક હોટલમાં નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), ભાજપના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓની હાજરીમાં શિવસેનાના ધારાસભ્યોના તેમના જૂથ સાથે બેઠક યોજી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એકનાથ શિંદેએ કહ્યું કે શિવસેના-ભાજપ ગઠબંધન સરકાર, મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે સોમવારે ફ્લોર ટેસ્ટનો સામનો કરવા માટે તૈયાર છે. તમામ ધારાસભ્યોની હાજરીમાં મળેલી બેઠકમાં સરકારની રણનીતિ શું હશે તેની ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોએ એવુ પણ જણાવ્યું કે શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહેલા એકનાથ શિંદેએ કહ્યું હતુ કે તેમને આશા છે કે નવી સરકાર રવિવારે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીની જેમ સોમવારે યોજાનાર ફ્લોર ટેસ્ટમાં સફળ થશે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે શિંદે સરકાર 166 મત સાથે બહુમત (Vote of confidence) સાબિત કરશે. ભાજપના રાહુલ નાર્વેકરે રવિવારે 164 મતોથી અધ્યક્ષપદની ચૂંટણી જીતી હતી, બે ધારાસભ્યો સ્વાસ્થ્યના કારણોસર હાજર રહ્યા ન હતા. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે અમને વિશ્વાસ છે કે અમે વિશ્વાસ મતમાં 166 મતો સાથે અમારી બહુમતી પુરવાર કરીશું. 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાસે હાલમાં 106 ધારાસભ્યો છે અને શિંદે શિવસેનાના 39 બળવાખોર ધારાસભ્યો અને કેટલાક અપક્ષો સાથે હોવાનો દાવો કર્યો છે. તાજેતરમાં શિવસેનાના એક ધારાસભ્યના અવસાન બાદ વિધાનસભાની ધારાસભ્યોની વર્તમાન સભ્ય સંખ્યા ઘટીને 287 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં વિધાનસભા ગૃહમાં બહુમતનો આંકડો 144 છે.
અગાઉ રવિવારે શિંદે જૂથના સહકારથી ભાજપે અધ્યક્ષની ચૂંટણીમાં મોટી જીત મેળવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના રાહુલ નાર્વેકરે શિવસેનાના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા હતા. મહત્વની વાત એ છે કે, શિવસેનાના એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને જૂથોએ તેમના ધારાસભ્યોને અધ્યક્ષની ચૂંટણી માટે તેમના ઉમેદવારોની તરફેણમાં મત આપવા માટે અલગ-અલગ વ્હિપ જાહેર કર્યા હતા. બાદમાં બંનેએ એકબીજા પર વ્હીપનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઉદ્ધવ ઠાકરેના કેમ્પમાંથી શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે 39 ધારાસભ્યોએ પાર્ટીના વ્હીપનું પાલન કર્યું નથી. તેમણે રાજ્ય વિધાનસભામાંથી આવા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી. સાવંતે કહ્યું, “અમારા 39 ધારાસભ્યોએ અમારા વ્હીપનું અને પાર્ટીના આદેશોનું પાલન કર્યું નથી. એટલા માટે અમે નવા વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અજય ચૌધરીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે.