મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં 2 જાન્યુઆરી, 2023 સુધી કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના આદેશથી CrPCની કલમ 144 અમલમાં આવશે. એટલે કે 2 જાન્યુઆરી સુધી કોઈ એક સ્થળે 5 કે 5 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મુંબઈ શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા અને જાહેર વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન સર્જાય તે માટે મુંબઈ પોલીસે આ આદેશ જાહેર કર્યો છે. આ આદેશ આવતીકાલ 4 ડિસેમ્બર 2022થી 2 જાન્યુઆરી 2023 સુધી લાગુ રહેશે. જાહેર સ્થળોએ ધરણા, સૂત્રોચ્ચાર, દેખાવો અને મોટા અવાજે ગીતો ગાવા-વગાડવા પર પ્રતિબંધ રહેશે.
આ સિવાય ફટાકડા ફોડવા, આતશબાજી કરવા, હથિયાર રાખવા પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારના બેન્ડ, ડીજે કે અન્ય સંગીતનાં સાધનો વગાડવા પર તેમજ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ રહેશે. આદેશનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવી છે.
CrPC ની કલમ 144 નો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે છે જ્યારે કોઈ સુરક્ષા ખતરા અથવા શાંતિ અને વ્યવસ્થાના ભંગની શક્યતા હોય. શાંતિ અને વ્યવસ્થા જાળવવાના હેતુથી તેનો અમલ કરવામાં આવે છે. બરોડા રાજ્યમાં સૌ પ્રથમ કલમ 144નો ઉપયોગ 1861માં થયો હતો. જ્યારે કલમ 144 અમલમાં હોય, ત્યારે પાંચ કે પાંચ વ્યક્તિથી વધુ લોકોના એક જગ્યાએ ભેગા થવા પર પ્રતિબંધ અમલમાં હોય છે.