એનસીબી (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ (Sameer Wankhede) પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) વિરુદ્ધ એનસીપીના નેતા અને મંત્રી નવાબ મલિકે (Nawab Malik) લગાવેલા આરોપોને નકારી કાઢ્યા છે.
નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે ઓક્ટોબર 2017માં DRIએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા અને 14 કરોડ 56 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. ત્યારે સમીર વાનખેડે પાસે આ મામલો હતો. આ મામલાને દબાવવા માટે દેવેન્દ્ર ફડણવીસે સમીર વાનખેડેની મદદ લીધી હતી.
14 કરોડની રકમ 8 લાખ 80 હજાર દર્શાવવામાં આવી હતી. થોડા દિવસોમાં આરોપીને જામીન મળી ગયા. આ કેસ NIAને સોંપવો જોઈતો હતો. પરંતુ આમ કરવામાં આવ્યું ન હતું. નવાબ મલિકે કહ્યું કે આવા આરોપીઓના ભાઈ હાજી અરાફાત શેખને દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પક્ષ બદલાવીને લઘુમતી આયોગનો અધ્યક્ષ બનાવવામાં આવ્યો. સમીર વાનખેડેએ આ આરોપને નકારી કાઢ્યો છે.
નવાબ મલિકનો આરોપ ખોટો, NIAએ જ કેસ પરત કર્યો -સમીર વાનખેડે
સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, DRI દ્વારા જપ્ત કરાયેલી નકલી નોટો 14 કરોડ 56 લાખની કિંમતની નથી, પરંતુ 10 લાખની સમાન કિંમતની હતી. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. DRIએ આ કેસને લઈને NIAનો સંપર્ક પણ કર્યો હતો. NIAએ પોતે આ કેસ હાથ ધર્યો ન હતો.
નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળ દરમિયાન તેમના સંરક્ષણ હેઠળ રાજ્યમાં નકલી ચલણનો ધંધો ફૂલ્યોફાલ્યો હતો.
‘જો તમે ડુક્કર સાથે કુસ્તી કરશો, તો તમે ગંદા થઈ જશો, ડુક્કરને આનંદ મળશે’
નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ દેવેન્દ્ર ફડણવીસે કોઈનું નામ લીધા વગર જ્યોર્જ બર્નાર્ડ શૉનું એક કોટેશન પણ ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, ડુક્કર સાથે લડશો તો ગંદા થઈ જશો. ડુક્કરને આનંદ મળશે.
જ્યારે ફડણવીસને આજે સાંજે (બુધવાર, 10 નવેમ્બર) પત્રકારો દ્વારા આ બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને નવાબ મલિકના આરોપો પર જવાબ જાણવા માંગ્યો, ત્યારે ફડણવીસ ટ્વીટના મુદ્દા પર હસ્યા હતા અને આરોપો પર કહ્યું હતું કે ભાજપના નેતા આશિષ શેલાર દ્વારા નવાબ મલિકના પ્રશ્નોના સચોટ જવાબો આપવામાં આવ્યા છે. તેઓ નવાબ મલિકના આરોપોને આટલું મહત્વ આપવાની જરૂર સમજતા નથી.