“ગોસાવીએ પ્રભાકરનો નંબર સમીર વાનખેડેના નામથી સેવ કર્યો હતો”, આર્યન ડ્રગ્સ કેસમાં સેમ ડિસૂઝાનો ચોંકાવનારો ખુલાસો
સેમ ડિસૂઝાએ દાવો કર્યો છે કે, "લોઅર પરેલમાં મીટિંગ દરમિયાન ગોસાવીને સમીર વાનખેડેના નામ પરથી કોલ આવ્યો હતો. પરંતુ ગોસાવીએ સમીર વાનખેડેના નામે પ્રભાકર સાઈલનો નંબર પોતાના મોબાઈલમાં સેવ કર્યો હતો અને તે જાણે સમીર વાનખેડે સાથે વાત કરતો હોય તેવો ઢોંગ કરી રહ્યો હતો.
Aryan Khan Drugs Case : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં બે દિવસ પહેલા બહાર આવેલા સેમ ડિસૂઝાએ મોટો દાવો કર્યો છે. સોમવારે સેમે દાવો કર્યો હતો કે, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યુ નથી. પંચના સાક્ષી કિરણ ગોસાવી (K.P.Gosavi) આર્યન ખાનને કેસમાંથી બહાર કાઢવા માટે પૈસા પડાવી રહ્યા હતા. જેના માટે તેણે 50 લાખની ટોકન મની પણ લીધી હતી. તે શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાની સાથે 18 કરોડમાં ડીલ કરતો હતો. સેમ ડિસોઝાએ એવો પણ દાવો કર્યો છે કે, સુનીલ પાટીલ આ મામલે ગોસાવીનું સમર્થન કરી રહ્યા હતા.
ડ્રગ્સ કેસમાં સેમ ડિસૂઝાનો ચોંકાવનારો ખુલાસો
સેમ ડિસોઝાએ એ પણ દાવો કર્યો હતો કે, તેણે ગોસાવીને પૈસા પરત કરવા દબાણ કર્યું હતું. સેમ ડિસોઝાએ જણાવ્યુ કે, NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને(Sameer Wankhede) આ કથિત ડીલ સાથે કોઈ લેવાદેવા નથી. ગોસાવીએ માત્ર સમીર વાનખેડેના સંપર્કમાં હોવાનો ડોળ કર્યો હતો. વધુમાં સેમ ડિસોઝાએ કહ્યું કે કિરણ ગોસાવી એક છેતરપિંડી કરનાર માણસ છે.
સેમ ડિસૂઝાનું નામ આ રીતે સામે આવ્યું
પ્રભાકર સાઈલ થોડા દિવસો પહેલા કિરણ ગોસાવીના અંગરક્ષક હતા, તેમણે દાવો કર્યો હતો કે તેણે ગોસાવી અને સેમ ડિસૂઝા (Sam D’Souza) વચ્ચેની ફોન વાતચીત સાંભળી હતી. ગોસાવી આર્યન ખાન કેસને દબાવવા માટે સેમને 25 કરોડની ડીલ કરવા કહેતો હતો. ત્યારબાદ ગોસાવીએ આ ડીલ 18 કરોડમાં નક્કી કરવાનું કહ્યું. ગોસાવીએ સેમને શાહરૂખ ખાનની (ShahRukh Khan) મેનેજર પૂજા ડડલાની સાથે આ ડીલ કરવા કહ્યું હતુ. ઉપરાંત પ્રભાકરે ગોસાવીને ફોન પર કહેતા સાંભળ્યા હતા કે 18 કરોડમાંથી તેણે 8 કરોડ સમીર વાનખેડેને આપવા પડશે જેને કારણે આ કેસમાં સેમ ડિસૂઝાનું નામ સામે આવ્યુ હતુ.
પ્રભાકર સાઈલનો નંબર ગોસાવીએ સમીર વાનખેડેના નામથી સેવ કર્યો હતો
સેમ ડિસૂઝાએ એક ચોંકાવનારો દાવો કર્યો કે, “લોઅર પરેલમાં મીટિંગ દરમિયાન, ગોસાવીને સમીર સરના નામ પર કોલર આઈડી દર્શાવતો કોલ આવ્યો. પરંતુ ગોસાવીએ સમીર વાનખેડેના નામે પ્રભાકરનો સાઈલનો (Prabhakar Sail) નંબર સેવ કર્યો હતો અને તે જાણે સમીર વાનખેડે સાથે વાત કરતો હોય તેમ ડોળ કરતો હતો. ત્યારે મને ખબર પડી કે કિરણ ગોસાવી છેતરપિંડી કરે છે. કારણ કે Truecaller માં તે નંબર દાખલ કર્યા પછી, પ્રભાકરે સાઈલ નામથી આ નંબર શો થયો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની બહાર શિવસેનાની પહેલી જીત ! પેટાચૂંટણીમાં લોકસભાની આ બેઠક પરથી જીત મળતા શિવસેનામાં ખુશીની લહેર