મનસેના દિપોત્સવી કાર્યક્રમમાં સાથે જોવા મળી સલીમ જાવેદની જોડી, મંચ પરથી જાવેદ અખ્તરે લગાવ્યા જય સીયારામના નારા- જુઓ વીડિયો
મુંબઈ: મુંબઈમાં રાજઠાકરેની પાર્ટી મનસે દ્વારા આયોજિત દિવાળીના કાર્યક્રમ દરમિયાન 12 વર્ષ બાદ સલીમ જાવેદની જોડી એકસાથે મંચ પર જોવા મળી. આ જોડીએ 70ના દાયકામાં અનેક એવી ફિલ્મો આપી કે હિંદી સિનેમાનો આખો પ્રવાહ બદલી નાખ્યો હતો. સલીમ જાવેદની આ જોડીને સમય રહેતા નજર લાગી ગઈ અને અલગ થઈ ગયા. ત્યારે ગુરુવારે રાત્રે વર્ષો બાદ આ જોડી મનસેના દિવાળી કાર્યક્રમમાં સાથે જોવા મળી હતી.
![મનસેના દિપોત્સવી કાર્યક્રમમાં સાથે જોવા મળી સલીમ જાવેદની જોડી, મંચ પરથી જાવેદ અખ્તરે લગાવ્યા જય સીયારામના નારા- જુઓ વીડિયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/11/javed-Akhtar-.jpg?w=1280)
મુંબઈ: રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા શિવાજી પાર્કમાં આયોજિત દિપોત્સવી કાર્યક્રમમાં ગીતકાર જાવેદ અખ્તર અને સલીમ ખાન એક સાથે જોવા મળ્યા હતા. બંનેની દોસ્તીમાં અંતર આવ્યા બાદ 12 વર્ષ બાદ બંનેએ મંચ શેર કર્યો હતો. દીપોત્સવ કાર્યક્રમમાં સલીમ જાવેદ સહિત બોલિવુડના અભિનેતા રિતેશ દેશમુખ અને નિર્દેશક આશુતોષ ગોવારિકર સહિતની હસ્તીઓ ઉપસ્થિત હતી.
જાવેદ અખ્તરે કરી હિંદુઓની પ્રશંસા
મનસેના દીપોત્સવ કાર્યક્રમમાં ગીતકાર જાવેદ અખ્તરે જણાવ્યુ કે હિંદુ સંસ્કૃતિને કારણે ભારતમાં લોકતંત્ર જીવિત છે. તેમણે હિંદુઓની પ્રશંસા કરતા કહ્યુ હિંદુઓ મોટા મનના અને ઉદાર દિલવાળા હોય છે. મને રામસીતાની ભૂમિ પર જન્મ લેવાનુ આજે પણ ગૌરવ છે. જો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે તેમણે કહ્યુ કે આજકાલ અભિવ્યક્તિની આઝાદી ઘણી ઓછી થઈ છે.
અભિવ્યક્તિની આઝાદી ઓછી થઈ છે અને આ વાત હું સતત કહી રહ્યો છુ- જાવેદ અખ્તર
ગીતકાર જાવેદ અખ્તરે અસહિષ્ણુતા મુદ્દે જણાવ્યુ કે આજે જે ફિલ્મો બની રહી છે તેને પરિવાર સાથે બેસીને નથી જોઈ શકાતી. અભિવ્યક્તિની આઝાદી હવે નથી રહી અને આ વાત હું સતત દોહરાવી રહ્યો છુ. જો આજે અમે શોલે લખી રહ્યા હોત તો મંદિરમાં એક્ટ્રેસ સાથે ધર્મેન્દ્રના ડાયલોગથી હોબાળો મચી ગયો હોત. આ જ પ્રકારે સંજોગ ફિલ્મમાં ઓમપ્રકાશે જે ગીતોમાં કૃષ્ણ સુદામાની જે કહાની બતાવી છે, તે આજે શક્ય પણ નથી.
“જે થોડી ઘણી સહિષ્ણુતા બચી છે તેમા હિંદુ સંસ્કૃતિનું મોટુ યોગદાન”
જાવેદ અખ્તરે જણાવ્યુ કે આજે અસહિષ્ણુતા વધી રહી છે. પહેલા પણ કેટલાક લોકો અસહિષ્ણુ હતા. પરંતુ હિંદુઓ એવા ન હતા. હિંદુઓની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે તેમની વિચારસરણી ઘણી વિશાળ છે. જો આ ખાસિયત પણ નહીં રહે તો હિંદુઓ પણ અન્ય લોકો જેવા થઈ જશે. જો કે આવુ થવુ ન જોઈએ. દેશમાં લોકતંત્ર, લોકશાહી પ્રણાલી ટકી રહેવી જોઈએ અને તેને ટકાવી રાખવામાં અત્યાર સુધી હિંદુ સંસ્કૃતિનું મોટુ યોગદાન રહ્યુ છે.
આ પણ વાંચો: અમદાવાદ: દિવાળીના તહેવારને પગલે સોમવારે પણ સાયન્સ સિટી મુલાકાતીઓ માટે રહેશે ખુલ્લુ- તસ્વીરો
જાવેદ અખ્તરે બાળપણની યાદોને વાગોળી
જાવેદ અખ્તરે તેમના બાળપણની યાદોને વાગોળતા જણાવ્યુ કે મને યાદ છે અમે લખનઉના રસ્તાઓ પર બહાર નીકળતા ત્યારે એકબીજાનું જય સીયારામ કહીને અભિવાદન કરતા હતા. ભગવાન રામ વિશે જાવેદ અખ્તરે જણાવ્યુ કે રામ અને સીતા પ્રેમના પ્રતીક છે. તેમનુ નામ અલગ અલગ લેવુ એ પણ પાપ છે. કોઈ એમનુ નામ અલગ કરવા ઈચ્છે નહીં. રામ અને સીતાને અલગ કરવાનું વિચારનાર એકમાત્ર રાવણ હતો. તેમણે કહ્યું હું મર્યાદા પુરુષોત્તમ રામનું સન્માન કરુ છુ અને મને ગર્વ છે કે હું શ્રી રામ અને સીતા માતાના દેશમાં જન્મ્યો છું. આ કાર્યક્રમમાં પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યા બાદ જાવેજ અખ્તરે ચાર વાર જયસિયારામના નારા લગાવ્યા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો