હરિયાણામાં પકડાયેલા ખાલિસ્તાની આતંકવાદી સંગઠન બબ્બર ખાલસાનું નાંદેડ કનેક્શન (Nanded Khalistani Terrorist Connection) સામે આવતા જ એક પછી એક નવી માહિતી બહાર આવી રહી છે. પાકિસ્તાનમાં રહીને પોતાના કામને અંજામ આપનાર આતંકવાદી હરવિંદર સિંહ રિંડા (Harvinder Singh Rinda) નાંદેડમાં હાજર સ્લીપર સેલને સક્રિય કરીને એક મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રિંડાએ નાંદેડમાં આરડીએક્સનો મોટો માલ મોકલ્યો હતો. ગઈ કાલે પોલીસ અધિક્ષકે માહિતી આપી હતી કે નાંદેડમાં 50 લોકો રિંડા માટે કામ કરી રહ્યા છે. શું રિંડા આ સ્લીપર સેલની મદદથી મુંબઈ લોકલ ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો? RDX શા માટે નાંદેડ મોકલવામાં આવ્યું?
લગભગ 5-6 મહિના પહેલા મુંબઈમાં ઈનપુટ મળ્યો હતો, જેમાં મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થવાની આશંકા હતી. આ એલર્ટ હરવિંદર સિંહ રિંડાના સંબંધમાં હોવાનું કહેવાય છે. તેથી નાંદેડ ખાતેથી જપ્ત કરાયેલા આરડીએક્સના કન્સાઈનમેન્ટનો ઉપયોગ મુંબઈ લોકલ ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ માટે તો કરવાનો હતો? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. નાંદેડમાં આટલા મોટાપાયે આરડીએક્સ લાવવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્ર એટીએસને તેની જાણ સુદ્ધાં નહોતી, આ બીજો મહત્વનો પ્રશ્ન છે.
ગઈકાલ સુધી પોલીસની ત્રણ ટીમોએ રિંડાના નાંદેડમાં હાજર ખેતરોનું નિરીક્ષણ કર્યું હતું. તેના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી. આ શોધમાં કેટલીક તલવારો મળી આવી હોવાની માહિતી સામે આવી છે. ગુરુવારે હરિયાણાની કરનાલ પોલીસે ચાર આતંકીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તેઓ રિંડાના ઈશારે હથિયારોનો જથ્થો લઈને મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં આવતા હતા. એટલે કે મહારાષ્ટ્રમાં કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાનો ઈરાદો હતો.
આ પછી મહારાષ્ટ્રની નાંદેડ પોલીસ પણ સક્રિય થઈ ગઈ અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની ધરપકડ શરૂ કરવામાં આવી. શુક્રવાર રાતથી જ કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં પોલીસના હાથે કેટલા લોકો ઝડપાયા છે, કેટલા હથિયારો મળી આવ્યા છે, હજુ સુધી આ માહિતી સામે આવી નથી. હરિયાણામાં ધરપકડ કરાયેલા ચાર લોકોની પૂછપરછ કરવા માટે નાંદેડ પોલીસની એક ટીમ હરિયાણા રવાના થઈ ગઈ છે.