વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે (14 જૂન, મંગળવાર) મહારાષ્ટ્રના તેમના એક દિવસીય પ્રવાસ પર પુણેના દેહુ પહોંચ્યા. અહીંથી વડાપ્રધાન મોદીની ગાડીઓનો કાફલો સંત તુકારામ મંદિર (Saint Tukaram Temple) પહોંચ્યો હતો. પીએમ મોદી કાર્યક્રમ સ્થળ (Pune Dehu) પર પહોંચ્યા અને સંત તુકારામ શિલા મંદિરનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ધાટન પહેલા મંદિરના આયોજકો અને વારકરીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંત તુકારામ મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ પીએમ મોદીએ ભગવાન વિઠ્ઠલ અને રુક્મિણી માતાના દર્શન કર્યા હતા. આ પછી તેઓ શ્રી રામ મંદિર પહોંચ્યા. શ્રી રામના દર્શન કરીને તેઓ વ્યાસપીઠ પહોંચ્યા.
મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાને વારકરીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, ‘ભગવાન વિઠ્ઠલ અને તમામ વારકરીઓના ચરણોમાં મારા પ્રણામ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યજન્મનો દુર્લભ એ સંતોનો સંગમ છે. સંતો રાજી થાય તો સમજવું કે સાક્ષાત ભગવાનના દર્શન થયા. દેહુ સંત શિરોમણી જગદગુરુ તુકારામનું જન્મસ્થળ પણ છે અને કર્મભૂમિ પણ છે. ભગવાન પાંડુરંગનું શાશ્વત ધામ દેહુમાં છે અને અહીંના લોકો પણ ભક્તિથી ભરપૂર સંત સ્વરૂપ છે.
વિકાસ યોજનાઓ વિશે માહિતી આપતા પીએમ મોદીએ કહ્યું કે, ‘સંત જ્ઞાનેશ્વર પાલખી માર્ગ 5 તબક્કામાં બનાવવામાં આવશે અને સંત તુકારામ પાલખી માર્ગ 3 તબક્કામાં બનાવવામાં આવશે. 350 કિમીથી વધુ મોટા હાઇવે બનાવવામાં આવશે. તેના પર 11000 કરોડનો ખર્ચ થશે. આનાથી વિસ્તારના વિકાસને પણ વેગ મળશે. આ ઉપરાંત ચૈત્ય ભૂમિ અને બાબાસાહેબ આંબેડકરના લંડન નિવાસ પણ વિકાસ કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું, ‘આપણે વિશ્વની સૌથી જૂની જીવંત સંસ્કૃતિઓમાંથી એક છીએ, આનો શ્રેય સંતોની પરંપરાને જાય છે. ભારત શાશ્વત છે કારણ કે ભારત સંતોની ભૂમિ છે. દરેક યુગમાં, ભારતમાં કોઈને કોઈ મહાન વ્યક્તિત્વ આપણું માગ્રદર્શન કરતું રહ્યું છે. આજે દેશ સંત કબીરદાસની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. ભારતની સંસ્કૃતિ શાશ્વત છે કારણ કે અહીં સંતોની પરંપરા રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે દેશભરમાં તીર્થસ્થળો અને પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે. સમગ્ર સંકુલને રામાયણ સર્કિટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારના આઠ વર્ષમાં બાબાસાહેબ આંબેડકરના પંચતીર્થોનો વિકાસ થયો છે. તેમનું જન્મસ્થળ મહુ હોય કે લંડનમાં તેમના ઘરને સ્મારકમાં રૂપાંતરિત કરવાનું કામ હોય, મુંબઈમાં ચૈત્યભૂમિનો વિકાસ હોય કે દીક્ષાભૂમિને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવાનું કામ હોય, આ તમામ કામો ઝડપથી થઈ રહ્યા છે. દિલ્હીમાં જ્યાં મહાપરિનિર્વાણ થયું હતું તે સ્થળને પણ સ્મારક તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પંચતીર્થ નવી પેઢીને બાબાસાહેબ આંબેડકર વિશે જણાવશે. આઝાદીના 75માં વર્ષમાં દેશ તેના સંકલ્પોને 100 ટકા પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે.
ત્યારબાદ પીએમ મોદી મુંબઈ જવા રવાના થયા હતા. મુંબઈમાં તેઓ રાજભવનમાં રિવોલ્યુશનરી ગેલેરીનું ઉદ્ઘાટન કરવાના છે. વર્ષ 2016માં જ્યારે સી વિદ્યાધર રાવ મહારાષ્ટ્રના ગવર્નર હતા, ત્યારે રાજભવનમાં બ્રિટિશ જમાનાનું બંકર હોવાનું જાણવા મળ્યું હતું. આ જ બંકરમાં ક્રાંતિકારીઓની જીવનચરિત્ર દર્શાવવા માટે ક્રાંતિકારી ગેલેરી તૈયાર કરવામાં આવી છે. અહીં ચાપેકર ભાઈઓ અને વીર સાવરકરના જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો દર્શાવવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક સાથે જોડાયેલી ઐતિહાસિક વાર્તાઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. PM મોદી સાંજે 6 વાગ્યે તેનું ઉદ્ઘાટન કરશે.