મહારાષ્ટ્રને મળી પહેલી વંદે ભારત ટ્રેન, મુંબઈ-પુણે વચ્ચે ટુંક સમયમાં થશે શરૂઆત
આ રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેન (Vande Bharat Trains) શરૂ થયા બાદ બંને શહેરો વચ્ચે મુસાફરી કરવાનો સમય ઘટીને 150 મિનિટ અથવા અઢી કલાક થઈ જશે.
મુંબઈમાં (Mumbai) રેલ લાઈન જીવાદોરી છે. ત્યારે મુંબઈમાં ટુંક સમયમાં વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રને પ્રથમ વંદે ભારત ટ્રેન મળી છે. તેમજ મુંબઈ-પુણે રૂટની પસંદગી કરવામાં આવી છે. ભારતીય રેલ્વેની (Indian Railway) ટ્રેનોમાં સેમી-હાઈ સ્પીડ ટ્રેનો સૌથી ઝડપી છે. રૂટ વચ્ચે વંદે ભારત ટ્રેનો શરૂ થયા બાદ બંને શહેરો વચ્ચે મુસાફરી કરવાનો સમય ઘટીને 150 મિનિટ અથવા અઢી કલાક થઈ જશે. જો કે રેલ્વે મંત્રાલયે હજુ તારીખ નક્કી કરવાની બાકી છે, પરંતુ બે નવી ટ્રેનો 15 ઓગસ્ટ સુધીમાં શરૂ થવાની ધારણા છે.
હાલમાં, બે શહેરો વચ્ચેની સૌથી ઝડપી ટ્રેન ડેક્કન ક્વીન છે જેનો મુસાફરીનો સમય ત્રણ કલાક અને 10 મિનિટનો છે. સેન્ટ્રલ રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે બંને શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે ટ્રેનોમાં ચેર કાર છે અને તે રૂટ પર સરળતાથી ચલાવી શકાય છે.”
મુંબઈ અને પુણે વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો થશે
હાલમાં, વંદે ભારત ટ્રેનોમાં તેની બેઠક વ્યવસ્થા તરીકે માત્ર ચેર કાર છે અને તેથી, મુંબઈ-પુણે રૂટ પસંદ કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલય 2023 માં એસી સ્લીપર સાથે વંદે ભારત ટ્રેનનો ફેઝ 2 રજૂ કરશે, જે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને પંજાબના ફિરોઝપુર કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશન વચ્ચે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. “અમે મુંબઈ અને પંજાબ વચ્ચે એસી સ્લીપર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના બનાવીએ છીએ. હાલમાં, બે રાજ્યો વચ્ચેની મુસાફરીમાં લગભગ 33 કલાકનો સમય લાગે છે, જેમાં ભારે ઘટાડો થશે,” તેમ વરિષ્ઠ મધ્ય રેલ્વે અધિકારીએ ઉમેર્યું હતુ.
વધુમાં, રેલ્વે મંત્રાલયે મે મહિનામાં ઝોનલ રેલ્વેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે મઝગાંવ અને જોગેશ્વરી ખાતેના વાડી બંદર રેલ્વે યાર્ડનો ઉપયોગ જાળવણી માટે ડેપો બનાવવા માટે કરવામાં આવશે. મધ્ય અને પશ્ચિમ રેલ્વેને સ્થાનોનું નિરીક્ષણ કરવા અને વંદે ભારત ટ્રેનોના જાળવણી માળખાના વિકાસ અને અપગ્રેડેશનની યોજના બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.
પરીવહન નિષ્ણાંતોએ વ્યક્ત કરી આ ચિંતા
વધુમાં પરીવહન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું કે,”તે ચોક્કસપણે કામ માટે નિયમિત મુસાફરી કરતા લોકોને મદદ કરશે કારણ કે તે મુસાફરીના કલાકો બચાવશે. જો કે, ઘાટ વિભાગમાં ઓપરેટિંગ સ્પીડ ચિંતાનો વિષય બની શકે છે. ઉપરાંત, તેઓએ ટ્રેનની ઝડપને નિયંત્રિત કરવા માટે ટ્રેકને અપગ્રેડ કરવો જોઈએ,”