ભારતમાં નથી મળ્યો કોરોનાનો નવો XE વેરિઅન્ટનો કેસ, સરકારી સૂત્રોએ મુંબઈમાં પહેલો કેસ મળી આવ્યો હોવાના મીડિયા અહેવાલોને નકાર્યા
જ્યારે INSACOG (Indian SARS-CoV-2 Genomic Consortium) હેઠળ નેક્સ્ટ લેવલ જિનોમ સિક્વન્સિંગ પદ્ધતિ દ્વારા તેની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેનું જિનોમ સિક્વન્સ XE ના જિનોમ સ્ટ્રક્ચર સાથે મેળ ખાતું નથી.
ભારતમાં કોરોનાનો નવો XE વેરિઅન્ટ મળ્યો (No Corona XE Variant Case in India) નથી. મુંબઈમાં કોવિડ 19ના નવા XE વેરિઅન્ટનો કેસ મળી આવ્યો હોવાનો દાવો કરતા મીડિયા રિપોર્ટ્સ સંબંધિત સમાચારોને સરકારી સૂત્રોએ ખોટા ગણાવ્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં કોવિડ ‘XE’ વેરિઅન્ટના કેસ મળવાના કોઈ પુરાવા નથી. તેથી, બુધવારે સરકારી સૂત્રોએ ભારતમાં કોવિડ 19ના આ નવા વેરીઅન્ટનો પ્રથમ કેસ મળવાના મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા. સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોને ઉલ્લેખીને આ સમાચાર આપ્યા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસવામાં આવેલા સેમ્પલની ફાસ્ટ ક્યૂ ફાઇલો (એટલે કે ટૂંકમાં ઝડપથી જોવામાં આવતી ફાઈલો) માંના એક કેસને XE વેરિઅન્ટના કેસ તરીકે ગણવામાં આવ્યો હતો. જ્યારે INSACOG (Indian SARS-CoV-2 Genomic Consortium) હેઠળ નેક્સ્ટ લેવલ જિનોમ સિક્વન્સિંગ પદ્ધતિ દ્વારા તેની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે તેનું જિનોમ સિક્વન્સ XE ના જિનોમ સ્ટ્રક્ચર સાથે મેળ ખાતું નથી. આવી સ્થિતિમાં, મળેલા પુરાવા કોઈ પણ રીતે એ સાબિત નથી કરતા કે મળી આવેલ કેસ કોવિડ 19 ના XE પ્રકાર સાથે સંબંધિત છે.
બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું હતું કે મુંબઈમાં એક XE અને એક Kappa વેરિઅન્ટનો કેસ મળી આવ્યો. બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે અગાઉ દાવો કર્યો હતો કે મુંબઈમાં એક XE અને એક કપ્પા વેરિઅન્ટનો કેસ મળી આવ્યો છે. આ અંદાજ નિયમિત પરીક્ષણ પર આધારિત હતો. પરંતુ આગલા સ્તરની તપાસમાં આ બાબત ખોટી હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાનું XE મ્યુટન્ટ સબ વેરિઅન્ટ એ BA1 અને BA2નું સંયોજન છે. જે યુકેમાં 19 જાન્યુઆરીના રોજ પ્રથમવાર મળી આવ્યો હતો.
કોવિડના XE મ્યુટન્ટને અત્યાર સુધીનું સૌથી ઝડપી ચેપ લાગતું મ્યુટન્ટ માનવામાં આવે છે. તે કોવિડના સબ-વેરિઅન્ટ BA2 કરતા અનેકગણી ઝડપથી સંક્રમિત હોવાનું માનવામાં આવે છે. જો કે, ભારતના નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે સંપૂર્ણ રીતે કહી શકાય તેમ નથી કે તે દેશમાં વધુ એક કોરોના લહેર લાવવાની શક્તિ ધરાવે છે. તેમ છતાં સાવધાની અને સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે.