સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને હજુ સુધી રાહત મળી નથી. તેમને બુધવાર સુધી જેલમાં રહેવું પડશે. તેમની જામીન અરજી પર મુંબઈ સેશન્સ કોર્ટ (Mumbai Sessions Court) 4 એપ્રિલે ચુકાદો સંભળાવશે. કામની વ્યસ્તતા અને કોર્ટમાં સમયના અભાવને કારણે આજે (2 મે, સોમવાર) નિર્ણય આપી શકાયો ન હતો. આવતીકાલે રમઝાન ઈદની રજાના કારણે કોર્ટ બંધ રહેશે. આથી રાણા દંપતીને જામીન મળશે કે જેલમાં રહેવું પડશે તેનો નિર્ણય બુધવારે સવારે 11 વાગે સંભળાવવામાં આવશે. કોર્ટનો નિર્ણય આજે ત્રણ વાગ્યે આવવાનો હતો. પરંતુ ત્યારબાદ કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચુકાદો પાંચ વાગ્યે આવશે. ન્યાયાધીશ રોકડેએ ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું, પરંતુ સમયની અછતને કારણે ચુકાદો સંપૂર્ણ રીતે લખી શકાયો ન હતો. આ વાત કોર્ટની બહાર આવીને રાણા દંપતીના વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવી હતી.
આ પહેલા મુંબઈ સેશન્સ કોર્ટમાં શનિવારે (30 એપ્રિલ)ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. પરંતુ આજે પણ નવનીત રાણા અને રવિ રાણાને રાહત મળી શકી નથી. આ રીતે નવનીત રાણા બુધવાર સુધી મુંબઈની ભાયખલા જેલમાં અને રવિ રાણા નવી મુંબઈની તલોજા જેલમાં રહેશે. રાણા દંપતી પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાણા દંપતીએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જીદ કરી હતી.
રાણા દંપતીના જામીનનો વિરોધ કરતા સરકારી વકીલે કહ્યું હતું કે માતોશ્રીની સામે હનુમાન ચાલીસા વાંચવાનો આ મુદ્દો એટલો સરળ નથી જેટલો કહેવામાં આવી રહ્યો છે. માતોશ્રીની સામે હનુમાન ચાલીસા વાંચવાના બહાને રાણા દંપતી કાયદો અને વ્યવસ્થાને બગાડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેઓ એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવા માટે સક્ષમ નથી. તેઓ રાજ્યમાં અરાજકતાની સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ બતાવવા માંગતા હતા કે રાજ્ય સરકાર હિંદુ વિરોધી છે.
રાણા દંપતીએ રાજ્ય પ્રશાસનને પડકાર ફેંક્યો છે અને મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું છે. સરકારી વકીલે કહ્યું કે રવિ રાણા સામે 17 કેસ નોંધાયેલા છે. નવનીત રાણા સામે 6 કેસ નોંધાયા છે. તેની ગુનાહિત પૃષ્ઠભૂમિને જોતા તેને જામીન ન આપવા જોઈએ. જો તેમને જામીન આપવામાં આવશે તો તેઓ બહાર આવીને ફરીથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડશે અને સમાજમાં તંગદિલી ઉભી કરવાનો પ્રયાસ કરશે.
રાણા દંપતીના વકીલ રિઝવાન મર્ચન્ટે કહ્યું હતું કે જ્યારે લંડનના થેમ્સ બ્રિજ પર હનુમાન ચાલીસા વાંચવી ગુનો નથી તો માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવી કેવી રીતે ગુનો બની શકે. રાણા દંપતીએ માત્ર એક જ વસ્તુ કરી હતી કે, પોલીસની કલમ 149ની નોટિસ છતાં હનુમાન ચાલીસાના પાઠ કરવા માટે અડગ રહ્યા હતા. પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ તેમણે બપોરે 3.40 કલાકે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.
માતોશ્રી પહોંચવું તો દૂર, ઘરની બહાર પણ નીકળ્યા નહીં. ઉલટાનું શિવસૈનિકોએ તેમના ઘરની બહાર ઘેરાવ કર્યો હતો. જે ગુનો કર્યો જ નથી તેની સજા કેવી રીતે આપી શકાય? હનુમાન ચાલીસાનો પાઠ કેવી રીતે દેશદ્રોહ ગણી શકાય?
આ પણ વાંચો : Hanuman Chalisa Row: રાણા દંપતીની જામીન અરજી પર આજે આવી શકે છે ચુકાદો