
મુંબઈને આખરે નવા મેયર મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ મહાનગરપાલિકાના મેયર પદ માટે વરિષ્ઠ નેતા અને કોર્પોરેટર રિતુ તાવડેનું નામ જાહેર કર્યું છે. આ ઔપચારિક જાહેરાત મુંબઈ ભાજપના પ્રમુખ અમિત સાટમે કરી હતી. ડેપ્યુટી મેયર પદે શિવસેના શિંદે જૂથને મળ્યું છે. શિંદે જૂથના સંજય શંકર ઘડીને ડેપ્યુટી મેયરના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.
રિતુ તાવડેને ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર માનવામાં આવે છે. પક્ષ અને સંગઠનમાં તેમના વ્યાપક અનુભવને કારણે, તેઓ પહેલાથી જ મેયર પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. આ જ કારણ છે કે પાર્ટીએ તેમને મેયર પદ માટે પસંદ કર્યા છે. આ પહેલી વાર છે જ્યારે મુંબઈમાં ભાજપના મહિલા મેયર બનશે.
ભાજપ અને શિવસેનાએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ગઠબંધન તરીકે લડી હતી. મહાયુતિના કુલ 118 કોર્પોરેટરો ચૂંટાયા હતા. તેમાંથી 89 ભાજપના અને 29 એકનાથ શિંદેની શિવસેનાના વિજેતા થયેલા હતા.
રીતુ તાવડેએ 2012 માં વોર્ડ નંબર 127 જીતીને મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, 2017 માં, તેઓ ઘાટકોપર વોર્ડ નંબર 121 થી પહેલી વાર ચૂંટાયા હતા. તાજેતરની 2025 ની ચૂંટણીમાં, તેઓ ફરીથી વોર્ડ નંબર 132 થી જીત્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમના કાર્યકાળ દરમિયાન, રીતુ તાવડેએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર તેમનું કાર્ય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભાજપ નેતૃત્વ માને છે કે, રીતુ તાવડેનો અનુભવ અને સંગઠનાત્મક ક્ષમતાઓ મુંબઈને મજબૂત અને અસરકારક નેતૃત્વ પ્રદાન કરશે. આ જ કારણ છે કે મેયર પદ માટે તેમનું નામ આગળ મૂકવામાં આવ્યું છે.
મુંબઈમાં ડેપ્યુટી મેયર પદ માટે શિવસેનાએ સંજય શંકર ઘડીનું નામ પંસદ કરવામાં આવ્યું છે. તેમના વ્યાપક સંગઠનાત્મક અનુભવ અને મુંબઈ શહેરના રાજકારણની સારી સમજને કારણે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. 57 વર્ષીય સંજય શંકર ઘડી મુંબઈના રહેવાસી છે. તેઓ દહિસરના વોર્ડ નંબર 5 ના કોર્પોરેટરપદે ચૂંટાયા છે.
તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાંથી મેળવ્યું, ત્યારબાદ માધ્યમિક શિક્ષણ છબિલદાસ હાઈસ્કૂલ, દાદરમાંથી મેળવ્યું. તેમણે ફોર્ટની સિદ્ધાર્થ કોલેજમાંથી બી.કોમ.ની ડિગ્રી મેળવી છે.
મુંબઈના નવા ડેપ્યુટી મેયર સંજય ઘડી મનસે પ્રમુખ રાજ ઠાકરેના નજીકના સહયોગી અને મિત્ર હતા. તેઓ ભારતીય વિદ્યાર્થી સેનામાં તેમના વિદ્યાર્થીકાળના દિવસોથી ઠાકરે સાથે જોડાયેલા હતા. રાજ ઠાકરેએ 2007 માં જ્યારે તેઓ મનસેમાં હતા ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી. તેમણે મનસે તરફથી ચૂંટણી પણ લડી હતી, પરંતુ બાદમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાયા, જ્યાં તેઓ કોર્પોરેટર બન્યા હતા.
મુંબઈ, મહારાષ્ટ્રને લગતા તમામ સમાચાર જાણવા માટે તમે અહીંયા ક્લિક કરો.
Published On - 12:10 pm, Sat, 7 February 26