મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારમાં ઉથલપાથલ ચાલી રહી હતી અને આજે તમામ અટકળોનો અંત આવ્યો. શિવસેનાના નેતૃત્વમાં બળવો કોઈ નવી વાત નથી. શિવસેનાને ભૂતકાળમાં પણ તેના મુખ્ય કાર્યકર્તાઓ તરફથી બળવોનો સામનો કરવો પડ્યો છે. તેમાંથી ત્રણ બળવો શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના સમયમાં થયા હતા. એકનાથ શિંદે (Eknath Shinde) પાર્ટીમાં નવા બળવાખોર નેતા બન્યા. શિવસેનાના ધારાસભ્યોના જૂથ સાથે બળવો કરનાર કેબિનેટ મંત્રી એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલ બળવો પાર્ટીના 56 વર્ષના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી મહારાષ્ટ્રમાં પાર્ટીની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારના પતનનો ભય હતો. બીજી તરફ શિવસેનામાં રાજ્યમાં પાર્ટી સત્તામાં ન હતી ત્યારે પણ અન્ય બળવા થયા છે.
જો છેલ્લા 32 વર્ષની વાત કરીએ તો કુલ 288 વિધાનસભા સીટમાંંથી 1995 માં શિવસેનાની સ્થિતિ સૌથી મજબૂત રહી અને તેને 73 સીટો પર જીત હાંસલ કરી હતી. ત્યારબાદ 2009 માં 45 સીટ પર જીત મેળવી હતી. જો કોંગ્રેસની વાત કરીએ તો 1990 માંં તેની સ્થિતિ મજબૂત રહી અને 141 સીટ પર જીત મેળવી હતી. ત્યારબાદ સતત કોંગ્રેસ નબળી થતી રહી. ભાજપે 1990 માં 42 સીટ જીતી અને મજબૂતી સાથે આગળ વધતા 2014 માંં 122 સીટ જ્યારે 2019 માં 105 સીટ પર જીત મેળવી હતી. એનસીપીએ 1999 માં 58 સીટ પર જીત મેળવી જ્યારે 2004 માં સૌથી વધારે 71 પર જીત મેળવી હતી. 2009 માં આરપીઆઈએ 14 અને એમએનએસએ 13 સીટ પર જીત હાંસલ કરી હતી.
છગન ભુજબળે શિવસેનાને મહારાષ્ટ્રના ભાગોમાં મોટી સંખ્યામાં બેઠકો જીતવામાં મદદ કરી હતી, પરંતુ તેમ છતાં બાળ ઠાકરેએ મનોહર જોશીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા. નાગપુરમાં શિયાળુ સત્રમાં ભુજબળે શિવસેનાના 18 ધારાસભ્યો સાથે પાર્ટી છોડી હતી અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. તે સમયે રાજ્યમાં કોંગ્રેસનું શાસન હતું. જો કે, 12 બળવાખોર ધારાસભ્યો તે જ દિવસે શિવસેનામાં પાછા ફર્યા હતા. ભુજબળ અને અન્ય બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ દ્વારા અલગ જૂથ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
વર્ષ 2005માં શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો જ્યારે પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા. રાણેએ પાછળથી કોંગ્રેસ છોડી દીધી અને હાલમાં ભાજપના રાજ્યસભા સભ્ય છે અને કેન્દ્રીય મંત્રી પણ છે.
વર્ષ 2006માં ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ પાર્ટી છોડીને પોતાનું રાજકીય સંગઠન – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બનાવવાનું નક્કી કર્યું. ત્યારે રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેમની લડાઈ શિવસેનાના નેતૃત્વ સાથે નથી, પરંતુ પાર્ટીના નેતૃત્વની આસપાસના અન્ય લોકો સાથે છે. 2009માં, 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં MNSએ 13 બેઠકો જીતી હતી.
એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલ બળવો પાર્ટીના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી મહારાષ્ટ્રમાં પાર્ટીની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું પતન થયું અને એકનાથ શિંદે હવે રાજ્યના મુખ્યમંત્રી હશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી સમયમાં શિવસેના વધારે નબળી પડી શકે છે.
Published On - 8:17 pm, Thu, 30 June 22