Maharashtra: શિવસેનાની બેઠકમાં 19માંથી માત્ર 12 જ સાંસદો જ પહોંચતા ઉદ્ધવ ઠાકરેના ટેન્શનમાં વધારો, શું શિંદે જૂથમાં જોડાઈ ગયા સાંસદો ?
શિવસેના(Shivsena)ના લોકસભાના 19માંથી માત્ર 12 સાંસદો જ બેઠકમાં પહોંચ્યા છે. જ્યારે રાજ્યસભા(Rajyasabha)ના 4માંથી 3 સાંસદો બેઠકમાં પહોંચ્યા છે. કુલ મળીને 23 સાંસદોમાંથી 15 સાંસદો બેઠકમાં પહોંચ્યા હતા. જ્યારે બાકી રહેલા સાંસદોના શિંદે જૂથમાં સામેલ થવાની આશંકા છે.
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આજે (11 જુલાઈ, સોમવાર) તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે શિવસેના (Shiv Sena)ના સાંસદોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. પરંતુ આ બેઠકમાં શિવસેનાના લોકસભાના 19માંથી માત્ર 12 સાંસદો જ હાજર રહ્યા હતા અને રાજ્યસભાના 4માંથી 3 સાંસદો પહોંચ્યા હતા. એટલે કે કુલ 23 સાંસદો પૈકી 15 સાંસદો બેઠકમાં પહોંચ્યા છે. આ તરફ ભાજપના નેતા રામદાસ તડાસે દાવો કર્યો છે કે શિવસેનાના 12 સાંસદો શિંદે જૂથ (CM Eknath Shinde)ના સંપર્કમાં છે. ઉદ્ધવ ઠાકરેએ આ બેઠક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મત આપવો તેના પર ચર્ચા કરવા માટે બોલાવી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એવા પણ સમાચાર છે કે ઉદ્ધવ ઠાકરે વ્યક્તિગત રીતે દરેક સાંસદ સાથે વાત કરશે અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરશે.
શિવસેનાના સાંસદોની બેઠકમાં સામાન્ય રીતે તમામ સાંસદો હાજર રહેતા હોય છે. પ્રથમવાર એવુ બન્યુ છે જ્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદો બેઠકમાં પહોંચ્યા નથી. બે તૃતીયાંશ ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેની છાવણી છોડીને શિંદે જૂથમાં જોડાયા બાદ આ સાંસદોની ગેરહાજરી અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગેરહાજર સાંસદો પૈકીના કેટલાકે ભાજપને સમર્થન આપવાની માંગ કરી છે. આથી સહુ કોઈની નજરો આ બેઠક પર રહેલી છે.
શિવસેનાની બેઠકમાં 23માંથી 15 સાંસદો હાજર
શિવસેનાની આ બેઠકમાં લોકસભાના 19માંથી 12 સાંસદો હાજર છે. આ સાંસદોમાં ધૈર્યશીલ માને, અરવિંદ સાવંત, વિનાયક રાઉત, શ્રીરંગ બારણે, હેમંત ગોડસે, રાહુલ શેવાળે, ગજાનન કીર્તિકર, સદાશિવ લોખંડે, ઓમરાજે નિમ્બાલકર અને પ્રતાપરાવ દેશમુખનો સમાવેશ થાય છે. એ જ રીતે રાજ્યસભાના 4 સાંસદોમાંથી 3 સાંસદો હાજર છે. જેમાં સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદી સામેલ છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે UPAકે NDA, શિવસેના કોની સાથે?
ઉદ્ધવ ઠાકરેએ બોલાવેલી આ બેઠક ઘણી મહત્વપૂર્ણ છે. આ બેઠકમાં એ વાત પર ચર્ચા થવાની છે કે શિવસેનાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને સમર્થન આપવું જોઈએ. શિવસેના હાલ UPAમાં છે. UPAએ યશવંત સિન્હાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે NDAએ દ્રૌપદી મુર્મુને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કેટલાક સાંસદોની માંગ છે કે ભાજપ અને NDAના ઉમેદવારોને સમર્થન આપવું જોઈએ. શિવસેનાના સાંસદ રાહુલ શેવાલે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ માંગ કરી છે. આવી સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.