મહારાષ્ટ્ર સરકારે બુધવારે એવા ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે જેમના પાકને રાજ્યમાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, નાણાં વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને પીડબલ્યુડી મંત્રી અશોક ચવ્હાણે અહીં મુંબઈમાં સંયુક્ત રીતે આની જાહેરાત કરી હતી.
એક નિવેદનમાં, સરકારે જણાવ્યું હતું કે, “આ વર્ષે જૂન અને ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદને કારણે 55 લાખ હેક્ટરથી વધુ જમીન પર કૃષિ પાકને નુકસાન થયું છે. ખેડૂતોને કેટલીક સહાય પૂરી પાડવા માટે મહારાષ્ટ્ર સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
બે હેક્ટરથી વધુ માટે વળતર આપવામાં આવશે નહીં
ખેડૂતોને ભારે વરસાદના કારણે નાશ પામેલા પાકનું વળતર આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતની જમીનના આકારને ધ્યાનમાં લીધા વિના, ખેડૂતોને બે હેક્ટર સુધી પાકના નુકસાન માટે વળતર મળશે.
કેટલું વળતર મળશે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે સહાય વિતરણ માટે એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડ) સંબંધિત કોઈ વધારે નિર્દેશોની રાહ ન જોવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને બિન સિંચાઈ જમીન પર પાક નુકશાન માટે હેક્ટર દીઠ રૂપિયા 10,000 મળશે, જ્યારે સિંચાઈવાળી જમીન પર પાક નુકશાન માટે હેક્ટર દીઠ 15,000 રૂપિયા મળશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અસરગ્રસ્ત ખેડૂતોને 12 વર્ષીય પાક માટે હેક્ટર દીઠ 25,000 રૂપિયા મળશે, જેમાં બાગાયત હેઠળના પાકનો સમાવેશ થાય છે.
ખેડૂતોએ મદદ માંગી હતી
વરસાદને કારણે નાશ પામેલા પાક અંગે ખેડૂતો મદદ માટે સતત વિનંતી કરી રહ્યા હતા. મરાઠાવાડમાં બીડ, ઓરંગાબાદ, ઉસ્માનાબાદ અને લાતુરમાં સૌથી વધુ નુક્સાન થયુ હતું. જ્યારે નાસિક, અહમદનગર, ધુલે અને સોલાપુરમાં પણ નુકસાન થયું હતું. નાંદેડમાં વરસાદને કારણે પાક ખરાબ થઈ ગયો હતો. અતિશય વરસાદને કારણે ડુંગળીનો પાક બરબાદ થઈ ગયો.
મહારાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ હતું. ભારે વરસાદના કારણે લોકોની સ્થીતી કફોડી બની હતી. તો બીજી બાજુ ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. પરંતુ બાદમાં વરસાદનું જોર વધ્યું હતું. રાજકોટ અને જામનગર જીલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી હતી. કેટલાક ગામડાઓમાં લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ હતું.