ભ્રષ્ટાચારના કેસમાં મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) અને અન્ય આરોપીઓ વિરુદ્ધ સરકારી સાક્ષી બનવા માટે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની અરજી સ્વીકારી છે. સ્પેશિયલ જજ ડીપી શિંગડેએ બુધવારે વાજેની અરજી મંજૂર કરી હતી. કોર્ટના આદેશ બાદ વાજે હવે આ કેસમાં ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે જુબાની આપી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાજેએ વિશેષ CBI કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે ધરપકડ પહેલા અને પછી સીબીઆઈને સહકાર આપ્યો છે. જે બાદ CrPC (ક્રાઈમ પ્રોસીજર કોડ)ની જોગવાઈઓ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ તેમનું કબૂલાતનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેના જવાબમાં સીબીઆઈએ કેટલીક શરતો સાથે વાજેની વિનંતી સ્વીકારી હતી.
દક્ષિણ મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક એક વાહનમાં વિસ્ફોટકોની શોધના સંબંધમાં થાણે સ્થિત ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યામાં કથિત ભૂમિકા બદલ વાજેની ગયા વર્ષે માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી. વાજે હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
અનિલ દેશમુખ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંઘ દ્વારા મુંબઈના હોટેલીયર્સ પાસેથી ખંડણી, પોલીસમાં પ્રમોશન/ટ્રાન્સફર માટે ચૂકવણી, મની લોન્ડરિંગ ઉપરાંત અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. પરમબીર સિંહે દેશમુખ પર પદની ગરિમા ન જાળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે દેશમુખ તેમને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટ્સમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવા દબાણ કરતા હતા. પોલીસ કમિશનરના પદ પરથી હટાવવામાં આવતાં તેમણે આ આક્ષેપો કર્યા હતા. દેશમુખે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
નોંધનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના જામીનના કેસમાં સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણી માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. અનિલ દેશમુખના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે અમારી મુખ્ય માંગ જામીનની છે, દેશમુખ 73 વર્ષના છે, તેઓ બીમાર છે, અમારી અરજી પર સુનાવણી થવી જોઈએ. આ મામલે 25 માર્ચે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દેશમુખને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા કહ્યું હતું.