મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (Maharashtra CM Eknath Shinde) ગુરુવારે એટલે કે 7 જુનના રોજ રાજ્ય સચિવાલય, મંત્રાલય ખાતે સત્તાવાર રીતે તેમના કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો. શિંદેએ કાર્યભાર સંભાળ્યો તે પહેલા ભવ્ય રીતે સુશોભિત મુખ્યમંત્રી કાર્યાલયમાં પૂજા કરવામાં આવી હતી. તેમના રૂમમાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેની એક મોટી તસવીર છે અને તેની બાજુમાં શિંદેના માર્ગદર્શક આનંદ દિઘેની તસવીર લગાવવામાં આવી છે. શિંદેએ સચિવાલયની ઇમારતમાં પ્રવેશતાં જ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ અને ડૉ. બી.આર. આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શિંદેની આગેવાની હેઠળના ધારાસભ્યોના જૂથના પ્રવક્તા દીપક કેસરકરે પત્રકારોને જણાવ્યું હતું કે બાળ ઠાકરે કોઈની સંપત્તિ નથી.
તેમણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ દ્વારા, શિવસેનાના દિવંગત સ્થાપક બાળ ઠાકરેનું નામ અને તસવીર શિંદે જૂથ દ્વારા ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના વિશે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, “બાળાસાહેબ સમગ્ર રાજ્યના છે અને આ હકીકતને કોઈ બદલી શકે નહીં.”
શિવસેનાના સાંસદ સંજય રાઉત પર પ્રહાર કરતા કેસરકરે કહ્યું, “રાઉત શરદ પવારની નજીક છે, હું ઉદ્ધવજી વિશે જાણતો નથી. જ્યારે મને લાગ્યું કે શિવસેના મહા વિકાસ અઘાડી (શિવસેના, એનસીપી અને કોંગ્રેસ)માં સમસ્યાઓનો સામનો કરી રહી છે, ત્યારે મેં ઉદ્ધવજીને સમજાવવાનો પ્રયાસ કર્યો. હું તેમને મંત્રી પદ માટે ક્યારેય મળ્યો નથી.
તેમણે કહ્યું હતુ કે, “તેમણે મને 2014 માં કહ્યું હતું કે તેઓ મને કેબિનેટમાં સામેલ કરી શકતા નથી કારણ કે તેમણે શિવસેનાના એવા નેતાઓને પ્રાથમિકતા આપવાની છે જેમણે બાળાસાહેબ સાથે કામ કર્યું હતું. તેથી જ હું ઉદ્ધવજીનું સન્માન કરું છું.” કેસરકરે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના દ્વારા ભાવના ગવલીને લોકસભામાં પક્ષના મુખ્ય દંડક તરીકે હટાવવાના નિર્ણયની પણ ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, “આવા પગલાથી તમે મહિલાઓનું અપમાન કરો છો. તેઓ પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે, જેમણે હંમેશા શિવસેનાનો ઝંડો ઉંચો લહેરાવ્યો છે.” નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથે બુધવારે રાજન વિચારેને ગવળીના સ્થાને લોકસભામાં શિવસેનાના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કર્યા.