મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય હલચલ વચ્ચે ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. ચંદ્રકાંત પાટીલે કહ્યું છે કે હવે કંઈપણ કહેવું વહેલું છે. અમે હાલ રાહ જોઈ રહ્યા છીએ અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ન તો એકનાથ શિંદેએ ભાજપને સરકાર બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે કે ન તો ભાજપે તેમને કોઈ પ્રસ્તાવ મોકલ્યો છે, પરંતુ રાજકારણમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. એકનાથ શિંદે સહિત શિવસેનાના કેટલાક ધારાસભ્યો સુરતની એક હોટલમાં હોવાના અહેવાલ છે.
મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાના કેટલાક ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો ન હતો, જ્યારે ચંદ્રકાંત પાટીલને તેમની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “તેમની પાર્ટીને આ રાજકીય ઘટનાક્રમ સાથે કોઈ લેવાદેવા નથી.” જો કે, પાટીલે કહ્યું હતું કે જો ભાજપને મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે તરફથી રાજ્યમાં સરકાર બનાવવાનો કોઈ પ્રસ્તાવ મળશે તો તેઓ ચોક્કસપણે તેના પર વિચાર કરશે.
પાટીલે કહ્યું કે, આ શિવસેનાનો આંતરિક મામલો છે. અમને ખબર નથી કે શિંદે તેના સહયોગીઓ સાથે સુરતમાં શા માટે છે. તેમના આ પગલા સાથે અમારે કોઈ લેવાદેવા નથી. જો બીજેપીને શિંદે તરફથી સરકાર બનાવવાની કોઈ દરખાસ્ત મળશે, તો અલબત્ત અમે તેના પર ગંભીરતાથી વિચાર કરીશું, એમ તેમણે કહ્યું. છેવટે, અમે પહેલા પણ સાથે કામ કર્યું છે, તેથી તેમની સાથે કામ કરવું અને સરકાર ચલાવવી સરળ રહેશે. પાટીલે એવો પણ દાવો કર્યો હતો કે શિવસેના અને ભાજપ વચ્ચેના બગડતા સંબંધો માટે માત્ર રાઉત જ જવાબદાર છે. પાટીલે આરોપ લગાવ્યો કે, રાઉત રાજ્યને પણ ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેઓ આવું કોઈ બીજા માટે કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં શાસક મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનને ઝટકો મળ્યાના એક દિવસ પછી, પાર્ટીના એક નેતાએ મંગળવારે કહ્યું કે શિંદેનો સંપર્ક થઈ રહ્યો નથી. જોકે, શિવસેનાના સાંસદ સંજય રાઉતે બાદમાં જણાવ્યું કે શિંદે મુંબઈમાં નથી, પરંતુ તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે. રાઉતે કહ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં એમવીએ સરકારને તોડી પાડવાના ભાજપના પ્રયાસો સફળ થશે નહીં. શિંદે સહિત શિવસેનાના કેટલાક ધારાસભ્યો સુરતની એક હોટલમાં હોવાના અહેવાલ છે. MVAમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે.