કોરોનાનો ડર, તેજસ રદ: 30 એપ્રિલ સુધી નહીં ચાલે મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ
કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. જેની અસર હવે યાતાયાત પર પણ પાડવા લાગી છે. વધતા જતા કોરોનાના કેસ જોઇને તેજસ ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેની વધુ અસર મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
2 થી 30 એપ્રિલ સુધી બંધ રહેશે તેજસ એક્સપ્રેસ
મુંબઇ અને ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને રેલ્વેએ 2 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસને રદ કરી દીધી છે. જાહેર છે કે મુંબઈ અને ગુજરાત વચ્ચે લોકોની અવર-જવર વધુ છે. કોરોનાના વધતા જતા કહેરને લઈને આ નિર્ણય લેવાયો છે.
ગુજરાતમાં કોરોના પરિસ્થિતિ
રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ Coronaના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે. 27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220 અને 31 માર્ચે 2360 નવા કેસ સામે આવ્યાં હતા. જયારે આજે 1 અપ્રિલે 2400થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.
2410 નવા કેસ, 9 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 1 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2410 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 9 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 4 અને વડોદરા તેમજ ભાવનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજના નવા કેસો સાથે અત્યાર સુધીમાં નોધાયેલા કોરોનાના કેસોની સખ્યા 3,10,108 થઇ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ
1 એપ્રિલ 2021ના આંકડાઓ પર નજર કરીએ તો તે દિવસથી છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 43,183 નવા કોરોના ચેપ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન 32,641 લોકોને રજા આપવામાં આવી હતી અને 249 લોકો મૃત્યુ પામ્યા હતા. તેમજ બુધવારે 39,544 નવા કેસ નોંધાયા હતા. આ મહામારી પછીનો સૌથી મોટો આંકડો છે.
આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 28 લાખ 56 હજાર 163 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 24 લાખ 33 હજાર 368 લોકો તંદુરસ્ત બન્યા છે. 3,66,533 સક્રિય કેસ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 54,898 લોકોનાં મોત થયાં છે.
28 માર્ચે 40 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા હતા બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 39,544 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 28 માર્ચે રાજ્યમાં કોરોનાના 40,414 નવા કેસ નોંધાયા હતા, જે સૌથી વધુ છે. 22 માર્ચે ચેપગ્રસ્ત લોકોનો આંકડો 25 લાખને વટાવી ગયો જ્યારે 27 માર્ચે તે 28 લાખને વટાવી ગયો.
મુંબઇમાં 8646 નવા કેસ
મુંબઈની વાત કરીએ તો માત્ર મુંબઈમાં 1 એપ્રિલના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,646 નવા કેસ નોંધાયા. જ્યારે 5,031 લોકોને રજા આપવામાં આવી છે અને 18 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, મુંબઇમાં કોરોનાના કુલ 4,23,360 કેસ સામે આવી ચૂક્યા છે. જ્યારે કુલ 3,55,691 લોકોને રજા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઇમાં કોરોનાના 55,00૦૦ સક્રિય કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 11,704 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ પણ વાંચો: Corona: બોયફ્રેન્ડ રણબીર કપૂર બાદ હવે ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ કોરોનાની ઝપેટમાં