Aryan Khan Drug Case: ક્રુઝ ડ્રગ કેસમાં આવ્યો ધાર્મિક મોડ, નવાબ મલિકને ભાજપ નેતાનો પ્રશ્ન, ‘શાહરુખ ખાન માટે દુ:ખ છે, સુશાંતના સમયે ક્યાં હતા?’
શું માત્ર એટલા માટે તકલીફ થઈ રહી છે કે આમાં શાહરુખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી છે? સુશાંત સિંહ રાજપૂતનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું.
શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન સાથે સંકળાયેલા મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસે (Mumbai Cruise Drug Case) રવિવારે (10 ઓક્ટોબર) ધાર્મિક અને કોમી વળાંક લીધો હતો. ભાજપના નેતા નિતેશ રાણેએ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકને (Nawab Malik, NCP) સવાલ કર્યો હતો કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી પર કરવામાં આવેલા દરોડાથી કેમ તકલીફ થઈ રહી છે.
શું માત્ર એટલા માટે તકલીફ થઈ રહી છે કે આમાં શાહરુખ ખાનના પુત્રની ધરપકડ કરવામાં આવી છે? સુશાંત સિંહ રાજપૂતનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. આજ સુધી તેમનું મૃત્યુ એક રહસ્ય બની રહ્યું છે. અત્યાર સુધી સીબીઆઈની તપાસ ચાલી રહી છે. ત્યારે નવાબ મલિકે સુશાંતને ન્યાય અપાવવા માટે અવાજ કેમ ન ઉઠાવ્યો?
આના જવાબમાં નવાબ મલિકે કહ્યું, ‘હું શનિવારે (2 ઓક્ટોબર) રાત્રે મુંબઈ ક્રૂઝ પર પડેલા એનસીબીના દરોડા પર સવાલ ઉઠાવી રહ્યો છું કારણ કે તે એક આયોજન બદ્ધ કરવામાં આવ્યું છે. રેડના નામે છેતરપિંડી થઈ છે. શાહરૂખ ખાનને નિશાન બનાવવા માટે આ યોજનાબદ્ધ દરોડા પાડવામાં આવ્યા છે. આવી તપાસ તમારા અને તમારા પરિવાર અને ઘર સુધી પણ પહોંચી શકે છે. એટલા માટે હું તમને પણ ચેતવણી આપું છું.
એનસીબીને દરોડા સમયના વીડિયો ફૂટેજ જાહેર કરવા આપ્યો પડકાર
રવિવારે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે એનસીબી પર પોતાના આરોપનું ફરી રટણ કર્યુ હતું. નવાબ મલિકે રવિવારે ફરી કહ્યું કે, ‘ક્રૂઝમાં હાથ ધરવામાં આવેલા દરોડામાં ડ્રગ્સ મળી આવ્યું નથી. એનસીબીએ જે તસવીર જાહેર કરી છે તે ઝોનલ ડીરેક્ટર સમીર વાનખેડેના ટેબલ પર રાખવામાં આવેલા ડ્રગ્સની છે. હું NCBને દરોડાની વીડિયો ટેપ જાહેર કરવા માટે પડકાર આપુ છું. ક્રૂઝમાં ડ્રગ્સ મળી આવ્યુ હતું કે નહીં તે વીડિયો દ્વારા સ્પષ્ટ થઈ શક્શે.
નવાબ મલિકે ફરી એકવાર એ જ કહ્યું કે ક્રુઝ પર દરોડા પાડ્યા બાદ NCB દ્વારા 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ભાજપના દબાણ હેઠળ ત્રણ લોકોને છોડી મુકવામાં આવ્યા હતા. જ્યારે એક દિવસ પહેલા જ એનસીબીએ નવાબ મલિકના આ આરોપને ફગાવી દીધો હતો કે 11 નહીં પરંતુ 14 લોકો પકડાયા હતા અને 6 લોકોને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા.
નવાબ મલિક એનસીપીના પ્રવક્તા છે કે ડ્રગ માફિયા? – કિરીટ સોમૈયા
ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પણ NCBના દરોડા અંગે નવાબ મલિક દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કિરીટ સોમૈયાએ કહ્યું છે કે, ‘મલિક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે કારણ કે તે ડ્રગ માફિયાઓ પાસેથી વસૂલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
વસૂલાતનો ધંધો પ્રભાવિત થયો છે, તેથી તેઓ પીડા અનુભવી રહ્યા છે. છેવટે, રાજકારણમાં જોડાતા પહેલા તે વસુલી જ કરતા હતા ને? નવાબ મલિક એનસીપીના અને ઠાકરે સરકારના પ્રવક્તા છે કે ડ્રગ માફિયાઓના?’
એટલે કે, તે સ્પષ્ટ છે કે મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસ મહારાષ્ટ્રના રાજકારણમાં પણ સતત વેગ પકડી રહ્યો છે. આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં છે. રવિવારે એનસીબીએ આ કેસમાં 20મી ધરપકડ કરી હતી. NCBએ મુંબઈના ગોરેગાંવમાંથી એક નાઈજિરિયન ડ્રગ્સ વેચનારને પકડી પાડ્યો છે.