Maharashtra: ઔરંગાબાદમાં AIMIMના સાંસદ જલીલે કોરોના નિયમના ઉડાવ્યા ધજાગરા, પોલીસે નોંધ્યો કેસ
ઓરંગાબાદ જિલ્લામાં AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે તેઓ લોકો દ્વારા તેમના મુદ્દાઓ ઉકેલવા માટે ચૂંટાયા છે અને પોલીસ તેમની વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરે તેમ છતાં તેઓ ડરશે નહીં. જલીલે કહ્યું કે તેઓ ભવિષ્યમાં પણ કોઈ ડર વગર લોકોના હિત માટે આંદોલન ચાલુ રાખશે.
મહારાષ્ટ્ર (Maharashtra)ના ઓરંગાબાદ (Aurangabad) જિલ્લામાં કોરોનાની અસર હજુ ઓછી થઈ નથી. તેમ છતાં લોક પ્રતિનિધિઓ દ્વારા કોરોનાના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. આવો જ એક તાજેતરનો કિસ્સો AIMIMના સાંસદ ઈમ્તિયાઝ જલીલ (Imtiyaz Jaleel)નો છે.
જેમાં મંગળવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસના (Independence day) પ્રસંગે અહીં ડિવિઝનલ કમિશનર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરતી વખતે કોવિડ -19 (Covid-19) નિયમોનો ભંગ કરવા બદલ સાંસદ ઈમ્તિયાઝ જલીલ અને તેના 24 અન્ય સાથીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ મામલો ઓરંગાબાદ જિલ્લાના વિભાગીય કમિશનર કચેરીનો છે. જ્યાં રવિવારે સાંસદ ઈમ્તિયાઝ જલીલની આગેવાની હેઠળ AIMIMના કાર્યકરોએ મહારાષ્ટ્રના મંત્રી સુભાષ દેસાઈને કાળા ઝંડા બતાવ્યા હતા, જ્યારે તેઓ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિભાગીય કમિશનર કચેરી જઈ રહ્યા હતા.
જ્યારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ-મુસ્લિમીન)ના કાર્યકરોએ જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી વગર રાજ્ય સરકાર સામે વિરોધ કર્યો હતો અને ઓરંગાબાદમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપનાની માંગ સાથે કાળા ઝંડા લહેરાવ્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે આવી પરિસ્થિતિમાં સાંસદ જલીલે ઘણી ભીડ ભેગી કરી અને કોરોના પ્રોટોકોલ તોડતા જોવા મળ્યા. આ દરમિયાન જલીલ અને તેના સમર્થકો માસ્ક વગર ભીડમાં ઉભા જોવા મળ્યા હતા. આ સિવાય ત્યાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું ન હતું.
પોલીસે કેસ નોંધ્યો
આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે સિટી ચોક પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને 269 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
ભવિષ્યમાં પણ લોકો માટે કોઈ ડર રાખ્યા વગર આંદોલન કરશે
આ દરમિયાન જલીલે કહ્યું કે તે લોકો દ્વારા તેમના મુદ્દાઓ ઉકેલવા માટે ચૂંટાયા છે અને પોલીસ તેમની સામે જે પણ કાર્યવાહી કરશે, તે આંદોલન ચાલુ રાખશે. જલીલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું રસ્તા પર ઉતરીશ.
પોલીસ દબાણ હેઠળ કામ કરે છે તે ઘણી વખત સાબિત થયું છે. ઘણીવાર પોલીસ અમારા પક્ષના કાર્યકરો સામે કાર્યવાહી કરે છે. જો મારી સામે પણ આવી કાર્યવાહી કરવામાં આવશે તો મને આશ્ચર્ય થશે નહીં. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ જરૂર પડશે તો તેઓ કોઈ ડર વગર લોકોના હિત માટે આંદોલન ચાલુ કરશે.