મહારાષ્ટ્રના અમરાવતી (Amravati in maharashtra) જિલ્લાના બે ગામોમાં કુવાઓનું દૂષિત પાણી પીવાથી ત્રણ લોકોના મોત થયા (3 died after drinking contimated water from well) અને અન્ય 47 લોકો બીમાર પડ્યા. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, અસરગ્રસ્ત લોકો અમરાવતીના પાંચ ડોંગરી અને કોયલારી ગામના રહેવાસી છે. ઘટનાની માહિતી મળ્યા પછી, મુખ્ય પ્રધાન શિંદેએ અમરાવતી જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્દેશ આપ્યો કે અસરગ્રસ્ત લોકોને વહેલી તકે સારવાર આપવામાં આવે અને જો જરૂર હોય તો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે.
સીએમ એકનાથ શિંદે હાલ બે દિવસીય દિલ્હી પ્રવાસ પર છે. તેઓ ગઈ કાલે (9 જુલાઈ, શનિવાર) દિલ્હીનો પ્રવાસ પૂરો કરીને ખાનગી વિમાનમાં પૂણે જવા રવાના થયા. આ પછી તેઓ આજે પંઢરપુરની અષાઢી એકાદશીની પૂજામાં ભાગ લેશે. આ દુ:ખદ ઘટના અંગે મુખ્યમંત્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ખુલ્લા કૂવાનું દૂષિત પાણી પીવાથી ઓછામાં ઓછા 50 લોકો બીમાર પડ્યા છે અને તેમાંથી ત્રણના મોત થયા છે.
નિવેદન મુજબ, પીડિતોને ડાયરિયા થયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટે મુખ્યમંત્રીને જણાવ્યું કે કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે. ઝાડા-ઊલટીને કારણે 3 લોકોના મોત થયા છે, 47ની હાલત ગંભીર છે અને 231 લોકો દૂષિત પાણીથી પ્રભાવિત થયા છે. ઘટનાની માહિતી મળતાં, સીએમ શિંદેએ દિલ્હીની મુલાકાત દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટને ફોન કર્યો અને ઘટના વિશે સંપૂર્ણ માહિતી લીધી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી તાત્કાલિક મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી.
સીએમ શિંદેએ જિલ્લા મેજિસ્ટ્રેટને સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો કે તેમના જીવન બચાવવા માટે તમામ પગલાં લેવામાં આવે અને અસરગ્રસ્ત લોકોની સારવાર સરકારના ખર્ચે કરવામાં આવે. સીએમ શિંદેએ એ પણ નિર્દેશ આપ્યો છે કે જો જરૂરી હોય તો અસરગ્રસ્ત લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે. મૃત્યુઆંક ન વધે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે.