હાલમાં કોરોના મહામારીને લઇને હવે લોકો પણ આયુર્વેદીક ના તરફ ઝોક વધારી રહ્યા છે. કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ ઉપરાંત શારીરીક રીતે અનેક સામાન્ય રોગો સામે પણ ઉપયોગી ચીજોનો વપરાશ હવે હોંશભેર કરવા લાગ્યા છે. ખાસ કરીને લીલી હળદરની માંગ પણ હવે વધવા લાગી છે. સાબરકાંઠાના પ્રાંતિજના ખેડુત પરીવાર રોગચાળાથી શીખીને ખેતીમાં પરીવર્તન કરીને હળદરની ખેતીની શરુઆત કરી છે.
કોરોના મહામારીએ લોકોની રોજીંદી જીવન પદ્ધતીને જાણે કે બદલી દીધી છે. ઉપરાંત લોકોની રોજીંદી ખાણી અને પીણી સહિત શરીરની સાવચેતી માટે પણ જાગૃત્તી વધારી દીધી છે. આમ હવે લોકો રોગ પહેલા જ સાવચેતી દાખવી રહ્યા છે અને રોગ થી દુર રહેવા માટેનો પ્રયાસ કરવા લાગ્યા છે. આ માટે આયુર્વેદીક ચીજોનો વપરાશ અને માંગ બંને વધવા લાગી છે. આવી જ રીતે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના એક ખેડુત પરીવારે માંગને ધ્યાને રાખીને ખેતી કરી છે. ના માત્ર પૈસો જ પરંતુ આવનારા દીવસોમાં વધતી માંગ રોગચાળાને ધ્યાને રાખીને લોકડાઉન દરમ્યાન વાવણી અંગે ની યોજના શરુ કરી હતી.
પ્રાંતિજ નજીક મામરોલી ગામના બાબુભાઇ પટેલ અને તેમના પુત્રોએ મળીને રોગચાળામાં ઉપયોગી ખેતી કરવા માટે મન બનાવ્યુ હતુ. તેઓએ પોતાના ખેતી પ્રત્યેના અનુભવને કામે લગાડી પ્રથમવાર જ પોતાના આઠ વિઘા વિસ્તારની ખેતીની જમીનમાં હળદરની વાવણી કરી હતી. ડ્રીપ ઇરીગેશન સાથે હળદરનુ બીયારણ લાવીને લોકડાઉનમાં ખેતીની છુટછાટ પ્રથમવાર સરકારે જાહેર કરતા જ વાવણી શરુ કરી હતી. હવે પાક ખેતરમાં લહેરાવા લાગ્યો છે અને જમીનમાં હળદરનો ઉતારો બેસવો શરુ થતા જ ખેડુત પરીવાર હવે આસપાસના ખેડુતો માટે ઉદાહરણીય બન્યુ છે.
આઠેક માસ લાંબી માવજત માંગી લેતી આ ખેતી છે. હળદળના બીયારણની વાવણી કર્યા બાદ તેને ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરવામાં આવી છે. પાકને જરુરી એટલા મુજબ જમીનને હળવી રાખવા માટે પણ પ્રયાસ કર્યો છે. તો સાથે જ આઠ માસ સુધી ધીરજ પુર્વક માવજત કરીને પરીવારે પાકને ઉછેર્યો છે. હજુ ત્રણેક માસ બાદ હળદરનુ ઉત્પાદન શરુ થશે. આમ શિયાળો જામતા જ લીલી હળદળની માંગ વધવા દરમ્યાન ઉત્પાદન શરુ થશે.
પ્રતિકિલો 70 થી 80 રુપીયાના ભાવથી હળદરનો ભાવ મળતો હોય છે આમ 1500 રુપીયા પ્રતિ વીસ કિલોએ હળદરનુ વેચાણ થવાનો ખેડુત બાબુભાઇને આશા છે. કોરોનાની મહમારીને લઇને લોકોમાં આરોગ્ય પ્રત્યે આવેલી જાગૃતીને ધ્યાને લઇને ખેતીમાં તેમણે બદલાવ કર્યો છે. અત્યાર સુધી તેઓ શાકભાજી અને ડાંગર તેમજ ઘઉં જેવી ધાન્ય પાકની ખેતી કરતા હતા. પરંતુ પ્રથમ વાર હવે હળદરની ખેતી કરી છે.
સમયની માંગ પ્રમાણે ખેતીમાં બદલાવ પણ ખેડુતોને આર્થિક ફાયદો કરાવતી હોય છે. સાથે જ લોકઉપયોગી પણ ઉત્પાદન નિવડતુ હોય છે. આમ હાલમાં રોગચાળાને ધ્યાને રાખીને ખેત ઉત્પાદનની પહેલ કરવાનો વિચાર પણ સમાજ માટે પણ ઉમદા જ ગણી શકાય. ખેડુત બાબુભાઇ પટેલ કહે છે, અમે રોગચાળાને ધ્યાને રાખીને આ પ્રકારની ખેતી કરી છે, આવનારા દીવસમાં પણ આની માંગ વધશે અને તેને લઇને આયોજન કર્યુ હતુ, હાલમાં હળદરનો ભાવ પ્રતિ કીલો 70-80 રુપીયા છે. જ્યારે ઘનશ્યામ પટેલ કહે છે, અમે લોકડાઉન દરમ્યાન આ વિચાર કર્યો હતો અને ખેતરમાં વાવણી કરી હતી, કોરોનાને લઇને લોકોમાં રોગપ્રતિકાર શક્તિ અંગે આવેલી જાગૃતીને લઇને હળદરની માંગને ધ્યાને રાખીને ખેતી કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:42 am, Mon, 12 October 20