આઈવીએફ (IVF) ટેક્નોલોજીથી જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. દુનિયાભરમાં આવી ટેસ્ટ ટ્યુબ બેબીનું ચલણ વધી રહ્યું છે. ટેસ્ટ ટ્યુબ બેબી(Test Tube Baby)નું ભારતમાં પ્રથમવાર 25 જુલાઈ, 1978ના રોજ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સફળ રહ્યું હતું. આ સફળ પરીક્ષણ કોલકાતાના ડૉક્ટર સુભાષ મુખોપાધ્યાયે (Dr subhash mukhopadhyay) કર્યું હતું. તેમને પ્રથમ ટેસ્ટમાં જ સફળતા મળી હતી. તેમણે એવા સમયે સફળતાનો રેકોર્ડ બનાવ્યો જ્યારે દેશમાં ટેસ્ટ ટ્યુબ વિશે વિચારવું પણ શક્ય નહોતું. પ્રથમ વખત તેની જાહેરાત થયા બાદ દેશના ડોકટરો અને સરકાર તેમની વાત સાંભળવા તૈયાર ન હતા.
તેમની શોધને ડોકટરો અને સરકારે ગેરકાયદેસર ગણાવી હતી અને ઉપલબ્ધિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે તેમની સિદ્ધિ મજાક બની ગઈ. જે ટેસ્ટ ટ્યુબ બેબીને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા, એ જ સિદ્ધિ તેમના મૃત્યુનું કારણ બની હતી.
જે પ્રયોગમાં તેઓ સફળ થયા તે તેમને એક મુકામ સુધી લઈ ગયા. સફળતા મળ્યા બાદ તેમણે દેશની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તૈયાર કરવા માટે પ્રયોગો શરૂ કર્યા. 3 ઓક્ટોબર 1978 ના રોજ, તેમણે ભારતની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તૈયાર કરી. તેનું નામ કનુપ્રિયા અગ્રવાલ હતું. બાળકના જન્મ પછી, ડૉ. સુભાષ મુખોપાધ્યાય વિશ્વના બીજા અને એશિયામાં આવા બાળકને તૈયાર કરનાર પ્રથમ નિષ્ણાત બન્યા.
કનુપ્રિયા પુણેની રહેવાસી છે. તે ભારતની પ્રથમ અને વિશ્વની બીજી ટેસ્ટ ટ્યુબ બેબી છે. કનુપ્રિયાના જન્મ સમયે તેનું નામ દુર્ગા રાખવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કામાં ઓળખ જાહેર ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું હતું. 44 વર્ષની કનુપ્રિયા 10 વર્ષના બાળકની માતા પણ છે.
ડો. મુખોપાધ્યાયે તેમનું આખું જીવન ટેસ્ટ ટ્યુબ બેબી બનાવવામાં વિતાવ્યું, પરંતુ એક શોધકર્તાને જે ઓળખ મળવી જોઈએ તે ક્યારેય તેમને મળી નથી. તેમના કામની સતત ટીકા થતી રહી. મજાક ઉડાવવામાં આવી. જેના કારણે તેઓ માનસિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ એવા તણાવ અને હતાશાથી પીડાતા હતા કે તેમણે 1981માં આત્મહત્યા કરી લીધી હતી.
ડૉ. મુખોપાધ્યાયના અવસાન પછી તેમના સાથી ડૉ. સુનીત મુખર્જીએ તેમની ડાયરી ડૉ. ટી.સી. આણંદને આપી હતી તેઓ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ખાતે પ્રજનન સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા. તેમણે ડો. મુખોપાધ્યાયે વર્ણવેલ પ્રક્રિયા દ્વારા 1 ટેસ્ટ ટ્યુબ તૈયાર કરી. એ બાળકનો પણ જન્મ થયો. ડૉ. આનંદના પ્રયત્નો પછી, ICMR એ ડૉ. મુખોપાધ્યાયના પ્રયોગને માન્યતા આપી. આ રીતે, તેમના મૃત્યુના 21 વર્ષ પછી, તેમના કાર્યને સમર્થન અને માન્યતા મળી. દેશમાં આવા સેંકડો દંપતી છે જેઓ IVF દ્વારા માતા-પિતા બની રહ્યા છે.
Published On - 2:40 pm, Mon, 25 July 22