આજે સોમવારે પરાક્રમ દિવસના અવસર પર ઘણા નામ વિનાના ટાપુઓને નામ આપવામાં આવશે. આ ખાસ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંદમાન અને નિકોબારના 21 નામ વગરના ટાપુઓને નામ આપશે. આ બધા ટાપપઓના નામ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારના નામ પરથી રાખવામાં આવશે. દર વર્ષે 23 જાન્યુઆરીએ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતિને વીરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. PMO ઓફિસના જણાવ્યા અનુસાર PM મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નામકરણ સમારોહમાં ભાગ લેશે.
દેશના પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્માના નામ પરથી, આંદમાન અને નિકોબારના સૌથી મોટા ટાપુનું નામ રાખવામાં આવશે. મેજર સોમનાથ શર્મા 3 નવેમ્બર, 1947ના રોજ શ્રીનગર એરપોર્ટ પાસે પાકિસ્તાની ઘૂસણખોરોનો પીછો કરતા શહીદ થયા હતા. તેમની બહાદુરી અને બલિદાન માટે તેમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરાયું હતું.
પરમવીર ચક્ર પુરસ્કારની શરૂઆત 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. આ પુરસ્કાર એ બહાદુર પુત્રના સન્માન માટે શરૂ કરવામાં આવ્યો હતો, જેણે અદમ્ય હિંમત, બહાદુરી, મહાન પરાક્રમો બતાવ્યા હોય અથવા તો દુશ્મનો સામે લડતા લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હોય.
ભારતીય વાયુસેનાની અધિકૃત વેબસાઈટ અનુસાર, તે એક ગોળાકાર મેડલ છે અને તે કાંસ્યથી બનેલો હોય છે. તેની આગળની બાજુએ ઈન્દ્રના વજ્રની ચાર પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે. મેડલની પાછળની બાજુ પરમવીર ચક્ર હિન્દી અને અંગ્રેજીમાં લખેલું હોય છે. મેડલ રિબન સાથે નાના હૂકથી લટકાવવામાં આવે છે. પરમવીર ચક્રની રિબન સાદી અને જાંબલી રંગની હોય છે.
આ સન્માનની શરૂઆત 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવી હતી. જ્યારે ભારતીય પ્રજાસત્તાકની ઘોષણા કરવામાં આવી હતી. ભારતીય સેનાના કોઈપણ ભાગના અધિકારીઓ અથવા કર્મચારીઓ આ એવોર્ડ માટે પાત્ર બની શકે છે. દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન પછી તેને સૌથી પ્રતિષ્ઠિત સન્માન માનવામાં આવે છે. પરમવીર ચક્રની શરૂઆત પહેલાં, જ્યારે ભારતીય સેના, બ્રિટિશકાળમાં બ્રિટિશ સેના હેઠળ કામ કરતી હતી, ત્યારે સેનાનું સર્વોચ્ચ સન્માન વિક્ટોરિયા ક્રોસ કહેવાતું હતું.