
વર્તમાન સમયમાં દરેક ઘરમાં વોટર પ્યુરિફાયર એક જરૂરિયાત બની ગયુ છે, પરંતુ RO ઇન્સ્ટોલ કર્યા પછી, આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે, તેને નિયમિત સર્વિસિંગ પણ જરૂરી છે. કેટલાક લોકો નિયમિતપણે તેમના રસોડાના વોટર પ્યુરિફાયરની સર્વિસ કરાવે છે, જ્યારે અન્ય બેદરકાર બની જાય છે, અને આ નાની ભૂલ બીમારી તરફ દોરી શકે છે. આજે, અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું જેથી તમે સમજી શકો કે વોટર પ્યુરિફાયર તરફથી કોઈ સંકેત મળતા હોય તો તે સંકેતનો અર્થ શું છે અને જો તમારા RO માંથી કોઈ સંકેતો આવી રહ્યા હોય તો તમારે તાત્કાલિક શું પગલાં લેવા જોઈએ.
જો તમે તમારા RO માંથી આવતા પાણીનો સ્વાદ બદલાઈ ગયો હોય કે પછી તેમાં કોઈ પ્રકારની કાદવની ગંધ આવે છે અથવા વિચિત્ર ગંધ આવતી હોય તો તમારો આર ઓ ચેક કરવાવવો જરૂરી છે. ઘણીવાર RO માંથી આવતા પાણીનો સ્વાદ કડવો અથવા અજૂગતો લાગે છે. આવી સ્થિતિમાં તમારા ROનું ફિલ્ટર ક્ષતિગ્રસ્ત છે. ROમાં ફિલ્ટરનું કામ પાણીમાંથી અશુદ્ધિઓ દૂર કરવાનું છે, જેનાથી તે પીવાલાયક બને છે. જો પાણીનો સ્વાદ અલગ હોય અથવા વિચિત્ર ગંઘ આવતી હોય, તો તાત્કાલિક RO રિપેર કરવાવાળાને બોલાવીને ફિલ્ટર બદલાવી નાખો.
જો RO માંથી નીકળતા પાણીના પ્રવાહની ગતિ ધીમી પડી ગઈ હોય, તો સમજો કે, તેમાં ગંદકી જમા થઈ ગઈ છે, જેનાથી દબાણ ઓછું થઈ રહ્યું છે. જો સર્વિસિંગ પછી પણ સમસ્યા ચાલુ રહે છે, તો તેનો અર્થ એ છે કે RO મેમ્બ્રેન બદલવાની જરૂર છે. મેમ્બ્રેનને સામાન્ય રીતે દર દોઢ થી બે વર્ષે બદલવાની જરૂર પડે છે.
RO માંથી નીકળતા પાણીનું TDS (Total Dissolved Solids) સ્તર 50 થી 150 ની વચ્ચે હોવું જોઈએ. આ TDS મીટર વડે ચકાસી શકાય છે. જો ફિલ્ટર બદલાઈ ગયું હોય પરંતુ TDS સ્તર હજુ પણ ઊંચું હોય, તો આ સમસ્યા મેમ્બ્રેન સાથે સંબંધિત હોઈ શકે છે.
જો પાણી શુદ્ધિકરણ કરતા સમયે ઓછું ગંદુ પાણી બહાર આવતું હોય, તો તેનો અર્થ એ કે મેમ્બ્રેન અવરોધિત છે. અથવા પ્રવાહ પ્રતિબંધક ( જે પાણીના પ્રવાહને નિયંત્રિત કરે છે) ખામીયુક્ત છે, અને ડ્રેઇન પાઇપમાં અવરોધ હોઈ શકે છે.