ભારતમાં રેલવે કનેક્ટીવીટીનું (Railway connectivity) મોટું નેટવર્ક આવેલું છે.અનેક સુવિધાથી આજે રેલવે સજ્જ જોવા મળી છે. સ્ટીમ એન્જીનથી આજે ઈલેક્ટ્રીક ટ્રેન (Electric train) સુધીનો વિકાસ જોવા મળી રહ્યો છે. ભારતમાં રેલવેને પાયો નંખાયાનો ઇતિહાસ રોચક છે. ભારતમાં રેલવેની શરુઆત અંગ્રેજોના શાસનકાળમાં થઇ હતી. ભારતીય રેલવેનો ઈતિહાસ 168થી વધુ વર્ષ જુનો થઇ ચુક્યો છે. જો કે ભારતમાં AC ટ્રેન (AC Train) ક્યારથી અને કેવી રીતે શરુ થઇ તેની માહિતી પણ રોચક છે. અમે તમને આજે દેશની પ્રથમ એસી ટ્રેન અંગેની જાણકારી આપીશું
ભારતમાં ટ્રેનની શરુઆત 1853માં થઇ હતી. જો કે ભારતમાં પ્રથમ એસી ટ્રેન 1934માં શરૂ થઈ હતી. તેનું નામ ફ્રન્ટિયર મેલ હતું. આ ટ્રેન તે સમયે બોમ્બેથી અફઘાનિસ્તાનની પેશાવર બોર્ડર સુધી દોડતી હતી. એસી ટ્રેનો શરૂ કરવામાં આવી ત્યારે એર કંડિશનર ભારતમાં આવ્યા ન હતા. પંજાબ મેલ નામની ટ્રેનમાં એસી કોચ ઉમેરવામાં આવ્યો હતો. જેની શરૂઆત 1928માં થઈ હતી. ત્યારબાદ 1934માં તેનું નામ બદલીને ફ્રન્ટિયર મેઈલ કરવામાં આવ્યું. તેમાં એસી કોચ ઉમેરવામાં આવ્યો.
કોચને ઠંડક આપવા માટે આધુનિક સાધનોને બદલે આઇસ ઇન્ગોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એસી બોગીની નીચે કમ્પાર્ટમેન્ટમાં બરફ રાખવામાં આવ્યો હતો. તેમજ પંખો પણ લગાવવામાં આવ્યો હતો. જેની મદદથી એસી કોચને ઠંડો કરવામાં આવ્યો હતો. જો કે ટ્રેનના ડબ્બાને બરફથી ઠંડુ કરવું સહેલું ન હતું. બરફના ટુકડા વારંવાર ભરવા પડતા હતા. દરેક નવા રેલવે સ્ટેશન પર પહોંચતા જ સ્ટાફ તેની તપાસ કરતો હતો. આ માટે અલગ સ્ટાફ હતો. કોચમાં તાપમાનને નિયંત્રિત કરવા માટે, બ્લોઅર સ્થાપિત કરવામાં આવ્યા હતા, જે બેટરીથી સંચાલિત હતા.
ભારતમાં શરૂઆતમાં આ AC ટ્રેનમાં 6 બોગી હતી. ત્યારે તેમાં 450 લોકો મુસાફરી કરી શકે તેવી સુવિધા હતી. તે સમયે પ્રથમ અને બીજા વર્ગના કોચ પણ હતા. મુસાફરોની સગવડતા માટે, તેમને મનોરંજન માટે ભોજન, સમાચાર પત્રો, પુસ્તકો અને પત્તા પણ આપવામાં આવ્યા હતા. આ ટ્રેન ક્યારેય મોડી ન પડવા માટે પણ જાણીતી હતી. 1934માં એસી કોચ શરૂ કર્યા બાદ જ્યારે 11 મહિના સુધી વિલંબ થયો ત્યારે સરકારે કાર્યવાહી કરી અને ટ્રેનના ડ્રાઈવરને નોટિસ મોકલીને જવાબ માગ્યો.
બ્રિટિશ અધિકારીઓથી લઈને સ્વતંત્રતા સેનાનીઓ પણ આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. આ ટ્રેન મુંબઈથી પેશાવર જતી હતી. જે દિલ્હી, પંજાબ અને લાહોર થઈને પેશાવર પહોંચી હતી. તેની યાત્રા પૂર્ણ કરવામાં તેને 72 કલાકનો સમય લાગતો હતો. નેતાજી સુભાષ ચંદ્ર બોઝથી લઈને મહાત્મા ગાંધીએ પણ આ ઐતિહાસિક ટ્રેનમાં મુસાફરી કરી હતી. આઝાદી બાદ આ ટ્રેન મુંબઈથી અમૃતસર સુધી દોડવા લાગી. વર્ષ 1996માં તેનું નામ ફરી એકવાર બદલીને ગોલ્ડન ટેમ્પલ મેઈલ કરવામાં આવ્યું. આ ટ્રેનને લંડનના અખબાર ‘ધ ટાઈમ્સ’ દ્વારા બેસ્ટ ટ્રેનનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું.