ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. હાથરસ જિલ્લાના સિકંદરાઉના ફૂલરાઈ ગામમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગનો આ પહેલો કિસ્સો નથી. દેશમાં નાસભાગના આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેના વિશે આ લેખમાં જાણીશું.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, દેશમાં લગભગ 80 ટકા નાસભાગના કિસ્સા ધાર્મિક મેળાવડા અને તીર્થયાત્રા દરમિયાન જોવા મળ્યા હતા. જાણો દેશમાં ક્યારે ક્યારે આવી ઘટનાઓ બની છે.
14 ફેબ્રુઆરી 1954ના રોજ પ્રયાગ કુંભ દરમિયાન નાસભાગ મચી હતી. જેમાં 500 લોકોના મોત થયા હતા. નાસભાગ માટે ઘણા અલગ-અલગ કારણો આપવામાં આવ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં નાસભાગને કારણે થયેલા મૃત્યુની આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. આઝાદીની પછીનો આ પહેલો કુંભ મેળો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં શાહી સ્નાન માટે જતા સમયે નાસભાગ શરૂ થઈ હતી.
3 ઓગસ્ટ, 2006ના રોજ હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં નાસભાગના કારણે લગભગ 150 ભક્તોએ જીવ ગુમાવ્યા હતા અને 400 થી વધુ ઘાયલ થયા હતા. આ સિવાય 26 જાન્યુઆરી, 2005ના રોજ પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માંઢેર દેવી મંદિરમાં આયોજિત ધાર્મિક મેળામાં લગભગ 350 શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા હતા.
8 નવેમ્બર, 2011ના રોજ હરિદ્વારના હર-કી-પૌરી ઘાટ પર નાસભાગમાં 22 લોકોના મોત થયા હતા. તો 14 જાન્યુઆરી, 2011ના રોજ, કેરળના સબરીમાલા મંદિરમાં નાસભાગમાં 106 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા. 4 માર્ચ, 2010ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં રામ જાનકી મંદિરમાં થયેલી નાસભાગમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. 30 સપ્ટેમ્બર, 2008ના રોજ નવરાત્રિના તહેવાર દરમિયાન ચામુંડા દેવી મંદિરમાં નાસભાગમાં 120થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ઘાયલ થયા હતા.
વર્ષ 2013માં મધ્યપ્રદેશના દતિયાથી 60 કિલોમીટર દૂર રતનગઢ સ્થિત મંદિરમાં નવરાત્રિના છેલ્લા દિવસે પણ આવી જ ઘટના બની હતી. દેવીના દર્શન કરવા આવેલા હજારો ભક્તોમાં નાસભાગ થવાથી મૃત્યુઆંક 115 પર પહોંચ્યો હતો. સૌથી વધુ મૃત્યુ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થયા છે.
2014માં મુંબઈમાં બોહરા સમુદાયના કાર્યક્રમમાં નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા. લોકો દાઉદી બોહરા સમુદાયના આધ્યાત્મિક નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે શેરીઓ ખૂબ જ સાંકડી હતી. ધાર્યા કરતાં વધુ ભીડ એકઠી થઈ અને નાસભાગ થઈ હતી.