ઈન્ડોનેશિયામાં (Indonesia) ફૂટબોલ મેચ (Football match) દરમિયાન હિંસા થઈ હતી. મલંગ રિજેન્સીના કાંજુરુહાન સ્ટેડિયમમાં અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા ક્લબ વચ્ચેની મેચ ચાલી રહી હતી. મેચમાં અરેમાની ટીમ હારી ગઈ હતી. આ પછી બંને ટીમોના ફેન્સ વચ્ચે અથડામણ થઈ, જેમાં 174 લોકો માર્યા ગયા અને અનેક લોકો પણ ઘાયલ થયા. મળતી જાણકારી મુજબ હારથી નિરાશ થયેલા ફેન્સ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા હતા. લડાઈ બાદ ભાગદોડ મચી ગઈ હતી અને મોટાભાગના લોકો ભાગદોડમાં જ મૃત્યુ પામ્યા હતા. મેદાનમાં આવા તોફાનો બાદ એક અઠવાડિયા માટે રમતો સ્થગિત કરી દેવામાં આવી છે. મૃતકોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. માહિતી એવી પણ સામે આવી રહી છે કે વહીવટીતંત્ર ભીડને કાબૂમાં કરી શક્યું નથી. સ્ટેડિયમની ક્ષમતા કરતા વધુ લોકો મેચ જોવા પહોંચ્યા હતા.
આ ઘટના શનિવારની રાત્રે પૂર્વી જાવાના મલંગ રિજેન્સીના કાંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. પૂર્વી જાવા પ્રાંતમાં ઈન્ડોનેશિયાના પોલીસ પ્રમુખ નિકો અફિન્ટાએ જણાવ્યું હતું કે અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચેની મેચ બાદ હારેલા પક્ષના સમર્થકો મેદાનમાં આવ્યા હતા અને તેઓએ હિંસા શરૂ કરી હતી. તેમને કહ્યું કે મેચ જોવા માટે 40 હજાર દર્શકો હાજર હતા. તેમાંથી લગભગ ત્રણ હજાર દર્શકો મેદાન તરફ દોડ્યા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અધિકારીઓએ ટીયર ગેસ છોડવો પડ્યો હતો, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ અને ગૂંગળામણના મામલા પણ સામે આવ્યા. અફિંટાએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં 127 લોકોના મોત થયા હતા, જેમાંથી બે પોલીસ અધિકારીઓ હતા. 34 લોકો સ્ટેડિયમની અંદર અને બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા.
મેદાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સેંકડો પ્રશંસકો મેદાનમાં ઘૂસી ગયા અને પછી ત્યાં એકબીજા પર હુમલો કરવા લાગ્યા. ફૂટેજમાં મલંગના સ્ટેડિયમની પીચ પર લોકો દોડતા જોવા મળે છે અને બોડી બેગની તસવીરો પણ જોવા મળી છે. ઈન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશન (PSSI) એ શનિવારે મોડી રાત્રે એક નિવેદન જાહેર કરીને આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રમત પછી શું થયું તેની તપાસ શરૂ કરવા માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ છે. PSSI ને કાંજુરુહાન સ્ટેડિયમમાં અરેમા સમર્થકો દ્વારા હિંસા બદલ ખેદ વ્યક્ત કરે છે. તેમને કહ્યું કે અમે પીડિતોના પરિવારજનો અને આ ઘટનામાં સામેલ તમામ પક્ષો માટે દિલગીર છીએ અને માફી માંગીએ છીએ.
લીગે મેચમાં થયેલી હિંસા બાદ એક અઠવાડિયા માટે રમતો સ્થગિત કરી દીધી છે. અરેમા એફસી ટીમ પર પણ આ સિઝનના બાકીના મેચ માટે હોસ્ટિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લીગના માલિક પીટી એલઆઈબીના અધ્યક્ષ નિર્દેશક અખ્મદ હાદિયન લુકિતાએ કહ્યું હતું કે અમે પીએસએસઆઈના અધ્યક્ષ તરફથી નિર્દેશ મળ્યા બાદ નિર્ણય જાહેર કર્યો છે.