ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી, અમને ટેલેન્ટની જરૂર છે: જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ
જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ (German Chancellor Olaf Scholz) ભારત પહોંચી ગયા છે, તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે અને ભારતના વિકાસની પ્રશંસા કરી છે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સારા સંબંધો વિશે વાત કરી છે.
2021માં જર્મનીના ચાન્સેલર બન્યા બાદ શોલ્ઝની આ પહેલી ભારત મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ વડાપ્રધાન મોદી અને ઓલાફ શોલ્ઝ સંયુક્ત રીતે પ્રેસને સંબોધન કર્યું હતું.
આ દરમિયાન બંને દેશો વચ્ચેના સારા સંબંધો વિશે વાત કરતા તેમને કહ્યું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસની મોટી છલાંગ લગાવી છે. આ બંને દેશોના સંબંધો માટે ઘણું સારું છે. શોલ્ઝે કહ્યું કે તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ કરવા માટે પ્રતિબદ્ધ હતા, જે હવે થઈ રહી છે.
શોલ્ઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ કહ્યું ‘આ ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે અને હું વ્યક્તિગત રીતે તેમાં સામેલ થઈશ.’ દ્વિપક્ષીય સંબંધો વિશે વાત કરતા શોલઝે કહ્યું કે તેમના અને પીએમ મોદીના વિચારો સમાન છે અને તેઓ સહકારી રહ્યા છે અને બાબતો પર ચર્ચા કરી રહ્યા છે. રોજગાર સર્જન પર ચાન્સેલરે કહ્યું હતું કે લગભગ 1,800 જર્મન કંપનીઓ ભારતમાં સક્રિય છે અને હજારો નોકરીઓ પ્રદાન કરી છે, તેમને વધુમાં ઉમેર્યું હતું કે જર્મની પણ ભારતીય ટેલેન્ટનો લાભ લેવા માંગે છે.
અમને ટેલેન્ટની જરૂર છે: ઓલાફ શોલ્ઝ
ઓલાફે વધુમાં કહ્યું, ‘અમને ટેલેન્ટની જરૂર છે, અમને સ્કિલ્ડ વર્કર્સની જરૂર છે, આઈટી અને સોફ્ટવેર ઈન્ડસ્ટ્રી ભારતમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. અમે ભારતીય ટેલેન્ટને જર્મનીમાં નોકરીઓ માટે એટ્રેક્ટ કરવા માંગીએ છીએ. એક જોઈન્ટ કોન્ફરસને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે ઊંડી સમજણ અને વિકાસને રેખાંકિત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Russia Ukraine War: અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું- ભારત અને ચીને રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલાથી રોક્યું
પીએમ મોદીએ કહ્યું, ‘યુરોપમાં અમારું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હોવા સિવાય, જર્મની ભારતમાં રોકાણનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત પણ છે. ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધો એકબીજાના પરસ્પર હિતના સહિયારા લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. તેમને વધુમાં કહ્યું કે ‘છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોમાં લોકો વચ્ચેના સંબંધોમાં ઘણો સુધારો થયો છે. આજે ‘મેક ઈન ઈન્ડિયા’ અને આત્મનિર્ભર ભારત અભિયાનને કારણે તમામ ક્ષેત્રોમાં નવી તકો ખુલી રહી છે. અમે આ તકોમાં જર્મનીની રુચીથી પણ પ્રોત્સાહિત છીએ.