વડાપ્રધાન પદે મોદીની શપથવિધિ બાદ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ, સતત ત્રીજી વખત શપથ લીધા છે. ત્યારે આજે સોમવારે પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન પદે મોદીની શપથવિધિ બાદ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની આવી પહેલી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું
| Edited By: | Updated on: Jun 10, 2024 | 2:40 PM

નરેન્દ્ર મોદીએ, ગઈકાલ રવિવારે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. શપથ લીધા બાદથી તેમને વિશ્વના અનેક નેતાઓના અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7 દેશના વડાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આજે સોમવારે પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા.

શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા એકસ- ટ્વિટર પર ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. શાહબાઝ શરીફે શુભેચ્છા સંદેશમાં લખ્યુ છે કે, “ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન.” આ પહેલા રવિવારે યુગાન્ડા, કેનેડાના રાષ્ટ્રપતિઓ ઉપરાંત સોલેવિની, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને બિલ ગેટ્સે પણ પીએમને અભિનંદન પાઠવ્યા હતા.

વિશ્વના અનેક મોટા નેતાઓએ પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન મોદી ત્રીજી વખત ચૂંટણી જીત્યા ત્યારથી, તેમને અભિનંદન સંદેશાઓ મળી રહ્યાં છે. રશિયા, અમેરિકા, બ્રિટન, UAE અને કોરિયા સહીતના ઘણા દેશોના ટોચના નેતાઓએ PM મોદીને અભિનંદન પાઠવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આ ઐતિહાસિક ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાન મોદી, NDA અને લગભગ 65 કરોડ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, બાઈડને લખ્યું, “બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બની રહી છે કારણ કે અમર્યાદિત સંભાવનાઓનું વહેંચાયેલ ભવિષ્ય ઉભરી રહ્યું છે.”

વડાપ્રધાન મોદીને તેમની જીત પર અભિનંદન આપતાં યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનકે સોશિયલ મીડિયા પર લખ્યું, “બ્રિટન અને ભારત વચ્ચે સૌથી નજીકની મિત્રતા છે અને આ મિત્રતા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.”

શાહબાઝ શરીફના અભિનંદનનો અર્થ શું છે?

પાકિસ્તાન હાલમાં આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ દેશમાં સ્થિરતા લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. શાહબાઝ સરકારે દેશની વિપક્ષ પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ સાથે શાંતિ મંત્રણા કરવાની પહેલ પણ કરી છે. શાહબાઝ શરીફની શુભેચ્છા પાડોશી દેશ સાથે સંબંધો સુધારવાની નાની પહેલ તરીકે જોઈ શકાય છે.