Houthi Rebels News: યમનથી (Yemen) ભારત માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રવિવારે યમનની રાજધાની સનામાં 14 વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાં સાત ભારતીય ખલાસીઓ (Indians Sailors Freed in Yemen) પણ સામેલ છે, જેઓ ત્રણ મહિનાથી હુથી બળવાખોરોના કબજામાં હતા. ઓમાનના વિદેશ મંત્રી બદર અલ્બુસૈદીએ આ જાણકારી આપી. તમને જણાવી દઈએ કે, રાજધાની સના પર હુથી વિદ્રોહીઓનો કબજો છે. ભારતીય ખલાસીઓ અને જુદા- જુદા દેશોના ઓછામાં ઓછા સાત અન્ય લોકોને યમનના હુથી બળવાખોરો દ્વારા કેદ કરવામાં આવ્યા હતા. વિદ્રોહીઓએ ત્રણ મહિના પહેલા સંયુક્ત આરબ અમીરાત (UAE)ના એક વેપારી જહાજને કબજે કર્યું હતું,જેમાં આ બધા સામેલ હતા.
ઓમાનના વિદેશ મંત્રી અલબુસૈદીએ સાત ભારતીયો સહિત 14 લોકોની મુક્તિની પુષ્ટિ કરી છે. ઓમાનના વિદેશ મંત્રીએ ટ્વીટ કર્યું કે, “પુષ્ટિ કરતા આનંદ થાય છે કે કેપ્ટન કાર્લોસ ડીમાતા, મોહમ્મદ જશીમ ખાન, અયાનચેવ મેકોનેન, દીપશ મુતા પરંબિલ, અખિલ રેઘુ, સૂર્ય હિદાયત પરમા, શ્રીજીત સજીવન, મોહમ્મદ મુનવર સમીર, સંદીપ સિંહ, લ્યુક સિમોનને આજે યમનમાં કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
વિદેશ પ્રધાન અલબુસૈદીએ કહ્યું, “અમે ઘણા પક્ષો દ્વારા કરવામાં આવેલા સારા અને માનવીય પ્રયાસો માટે ખૂબ આભારી છીએ, સનામાં યમનના નેતૃત્વના વિશ્વાસ સાથે લોકોને પરત લાવવામાં આવ્યા છે.” ઓમાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તમામ 14 લોકોને ઓમાન રોયલ એરફોર્સ પ્લેન મારફતે રાજધાની મસ્કત લાવવામાં આવ્યા છે. અલબુસૈદીના ટ્વીટનો જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલે મદદ કરવા બદલ ઓમાનનો આભાર માન્યો હતો. જયશંકરે ટ્વીટ કર્યું, ‘તમારી મદદ અને સમર્થન માટે મારા મિત્ર બદ્ર અલ્બુસૈદીનો આભાર. ભારતીયો સુરક્ષિત સ્વદેશ પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, હુથી બળવાખોરો દ્વારા સાત ભારતીય ખલાસીઓનું અપહરણ કરવામાં આવ્યા પછી, ભારત તેમને મુક્ત કરવા માટે સખત પ્રયાસ કરી રહ્યું હતું. આ માટે સંયુક્ત રાષ્ટ્ર સહિત વિવિધ એજન્સીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. યમનમાં છેલ્લા 8 વર્ષથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. હુથી વિદ્રોહીઓ યમનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવે છે. તેમને હટાવવા માટે સાઉદી અરેબિયાના નેતૃત્વમાં યુદ્ધ પણ ચલાવવામાં આવ્યું છે.