તેના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા (Former President Gotabaya) રાજપક્ષે શ્રીલંકા(Srilanka)થી ભાગી ગયાના લગભગ બે મહિના પછી શુક્રવારે થાઇલેન્ડથી સ્વદેશ પરત ફર્યા હતા. અભૂતપૂર્વ આર્થિક કટોકટી (economic crisis) વચ્ચે 9 જુલાઈના રોજ શ્રીલંકામાં તેમના રાજીનામાની માંગણીના વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા બાદ ગોટાબાયા રાજપક્ષે 13 જુલાઈએ દેશ છોડીને ભાગી ગયા હતા.
તે સમયે વિરોધીઓએ કોલંબોમાં રાષ્ટ્રપતિ નિવાસ સહિત અન્ય ઘણી સરકારી ઇમારતો પર હુમલો કર્યો હતો. ગોટાબાયા રાજપક્ષે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અહીંના બંધારનાઈકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ના ઘણા મંત્રીઓ અને સાંસદોએ તેમનું સ્વાગત કર્યું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટથી પરત ફર્યા છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ પાછા આવવા માટે પહેલા થાઈલેન્ડથી સિંગાપોર ગયા હતા કારણ કે થાઈલેન્ડના બેંગકોક અને શ્રીલંકાના કોલંબો વચ્ચે કોઈ સીધી ફ્લાઈટ નથી. ડેઇલી મિરરે અહેવાલ આપ્યો છે કે ગોટાબાયા રાજપક્ષે અહીં વિજેરામા મવાથા પાસેના સરકારી બંગલામાં રોકાશે અને વિસ્તારની સુરક્ષા માટે મોટી સુરક્ષા ટુકડી તૈનાત કરવામાં આવશે.
પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે રાજપક્ષે સરકારી બંગલો અને અન્ય સુવિધાઓના હકદાર છે. ગોટાબાયા રાજપક્ષે અગાઉ શ્રીલંકા એરફોર્સના વિમાન દ્વારા કોલંબોથી માલદીવ ભાગી ગયા હતા. માલદીવથી તેઓ સિંગાપોર જવા રવાના થયા, જ્યાંથી તેમણે 14 જુલાઈના રોજ રાજીનામું મોકલ્યું. બાદમાં રાજપક્ષે કામચલાઉ આશ્રયની શોધમાં થાઈલેન્ડ ગયા હતા.
થાઈલેન્ડના વિદેશ મંત્રી ડોન પ્રમુદવિનાઈએ કહ્યું છે કે રાજપક્ષે 90 દિવસ સુધી દેશમાં રહી શકે છે કારણ કે તેમની પાસે હજુ પણ રાજદ્વારી પાસપોર્ટ છે. રાજપક્ષેની હકાલપટ્ટી પછી, શ્રીલંકાની સંસદે તત્કાલીન કાર્યકારી રાષ્ટ્રપતિ અને છ વખતના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેને તેમના અનુગામી તરીકે ચૂંટ્યા. વિક્રમસિંઘેને 225 સભ્યોની સંસદમાં સૌથી મોટી પાર્ટી શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP)નું સમર્થન હતું.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે રાજપક્ષેના નેતૃત્વવાળી SLPPની વિનંતી પર તેમના સ્વદેશ પરત આવવાની વ્યવસ્થા કરી છે. એસએલપીપીના મહાસચિવ સાગર કરિયાવાસમે 19 ઓગસ્ટે કહ્યું હતું કે પ્રમુખ વિક્રમસિંઘે સાથેની બેઠકમાં આ સંબંધમાં વિનંતી કરવામાં આવી હતી.
Published On - 7:40 am, Sat, 3 September 22