PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, યુક્રેન સંકટ અને ફૂડ સિક્યોરિટી સહિત ઘણા મુદ્દાઓ પર કરી ચર્ચા
ફોન પર વાતચીત દરમિયાન બંને દેશોના નેતાઓએ 2021 (ડિસેમ્બર)માં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયોના અમલીકરણની સમીક્ષા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ અને ખાદ્ય સુરક્ષા સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ફોન પર વાતચીત દરમિયાન બંને દેશોના નેતાઓએ 2021 (ડિસેમ્બર)માં રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન લીધેલા નિર્ણયોના અમલીકરણની સમીક્ષા કરી હતી.
Prime Minister @narendramodi speaks to Russian President #VladimirPutin on telephone
Both the leaders reviewed the implementation of the decisions taken during Putin’s visit to India along with discussing bilateral trade & various other global issues
(File Pics) #TV9News pic.twitter.com/ZJ7kzZRKaQ
— Tv9 Gujarati (@tv9gujarati) July 1, 2022
વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદન અનુસાર પુતિન અને વડાપ્રધાન મોદી કૃષિ કોમોડિટીઝ, ખાતરો અને ફાર્મા ઉત્પાદનોમાં દ્વિપક્ષીય વેપારને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે? આ અંગે વિચારોની આપ-લે કરવામાં આવી હતી. આ ઉપરાંત, બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય ઊર્જા અને ખાદ્ય બજારોની વર્તમાન સ્થિતિ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પીએમઓએ નિવેદનમાં કહ્યું, “યુક્રેનમાં વર્તમાન સંકટના સંદર્ભમાં પીએમ મોદીએ વાતચીત અને કૂટનીતિના પક્ષમાં ભારતના લાંબા ગાળાના વલણને પુનરાવર્તિત કર્યું.” નિવેદન અનુસાર બંને દેશોના નેતાઓ વૈશ્વિક અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર સતત પરામર્શ ચાલુ રાખવાની વાત પર સહમત થયા છે.
યુક્રેનની રહેણાંક ઈમારતો પર મિસાઈલ હુમલો
યુક્રેન અને પશ્ચિમી દેશોએ રશિયા પર અનાજની નિકાસને રોકવા માટે યુક્રેનિયન બંદરોને અવરોધિત કરીને વૈશ્વિક ખાદ્ય સંકટમાં ફાળો આપવાનો આરોપ મૂક્યો છે. રશિયાએ આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે યુક્રેનને સલામત શિપિંગની મંજૂરી આપવા માટે કાળા સમુદ્રમાંથી દરિયાઈ લેન્ડમાઈન્સને દૂર કરવાની જરૂર છે. દરમિયાન, શુક્રવારે વહેલી સવારે યુક્રેનિયન બંદર શહેર ઓડેસામાં રહેણાંક ઈમારતો પર રશિયન મિસાઈલ હુમલામાં બે બાળકો સહિત ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે રશિયાએ ગુરુવારે કાળા સમુદ્રના એક મોટા ટાપુ સ્નેક આઈલેન્ડ પરથી પોતાની સેનાને હટાવી લીધી છે.