Pakistan News : પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વડા નવાઝ શરીફ (Nawaz sharif) પાર્ટીને મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં રાજકીય અભિયાનનું નેતૃત્વ કરવા 21 ઓક્ટોબરે લંડનથી પોતાના દેશ પરત ફરશે. જો કે, તેમને પાકિસ્તાન પરત ફરવું મુશ્કેલ બની શકે છે. કારણ કે, NABના કાયદા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, યુસુફ રઝા ગિલાની સહિત ઘણા મોટા નેતાઓના કેસ ફરીથી ખોલવામાં આવી રહ્યા છે.
નવાઝ શરીફ, શહેબાઝ શરીફ, આસિફ ઝરદારી અને યુસુફ રઝા ગિલાનીના તોશા ખાના કેસની સાથે પિંક રેસિડેન્સી કેસમાં પણ મુશ્કેલી આવી શકે છે. આ દરમિયાન પૂર્વ પીએમ શાહિદ ખાકન અબ્બાસીના એલએનજી કેસને સ્પેશિયલ જજ સેન્ટ્રલમાંથી એકાઉન્ટેબિલિટી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. એ જ રીતે પૂર્વ નાણામંત્રી શૌકત તારીન સામે ફરી કેસ ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સેનેટર સલીમ માંડવીવાલા વિરુદ્ધ કિડની હિલના કેસ અને ઈશાક ડાર વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિના કેસ સંબંધિત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઓમર અત્તા બંદિયાલની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે NAB સુધારા વિરુદ્ધ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષની અરજીને મંજૂર કરી છે અને 10માંથી 9 માંગણીઓ સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં દેશની મોટી હસ્તીઓ વિરુદ્ધ ચાલી રહેલા કેસને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે NABને 50 કરોડ રૂપિયાથી ઓછા ભ્રષ્ટાચારના મામલાની તપાસ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે કહ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સ્વદેશ પરત ફર્યા પછી તેમની ધરપકડ કરવામાં આવશે કે નહીં તે કાયદા અમલીકરણ એજન્સીઓ નક્કી કરશે. એક ટીવી ઈન્ટરવ્યુમાં અનવર-ઉલ-હક કાકરે કહ્યું કે નવાઝ શરીફની ધરપકડ અંગે કાયદા અમલીકરણ એજન્સીઓ નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે નવાઝ શરીફને ફેબ્રુઆરી 2020માં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે કોર્ટે તોશાખાના વાહન કેસમાં પણ પૂર્વ વડાપ્રધાનને ભાગેડુ જાહેર કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો