
અમેરિકા અને ઈરાન વચ્ચે 14 પોઈન્ટના શાંતિ સમજૂતી પર સહમતિ હોવા છતાં યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે, કારણ કે આ ડીલ પછી અમેરિકા અને ઈરાન વચ્ચે તો ફરી એકવાર યુદ્ધ શરૂ થતાં-થતાં અટકી ગયા છે. જો કે, ઈઝરાયેલ બંને દેશો વચ્ચે વિલન બની રહ્યું છે. વાત એમ છે કે, તે પોતાના હેતુમાં સફળ થયા વિના અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ કોઈ પણ સંજોગોમાં રોકવા માંગતું નથી.
આ જ કારણ છે કે, નેતન્યાહુની સેના લેબનાનથી લઈને ગાઝા સુધી સતત બોમ્બ વર્ષા કરી રહી છે અને હવે તો ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ખુલ્લી ચેતવણી પણ આપી રહ્યા છે કે, જો ઈરાને લેબનાનના સમર્થનમાં કોઈ પણ પગલું ભર્યું, તો ઈઝરાયેલ આગામી 48 કલાકમાં તેની સામે યુદ્ધનો નવો મોરચો ખોલી શકે છે.
એક તરફ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે, દોહામાં ઈરાન સાથે વાતચીત આગળ વધવાની છે. બીજી તરફ ઈરાન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે, હાલમાં અમેરિકા સાથે તેની કોઈ વાતચીત નક્કી નથી. ટૂંકમાં, આ યુદ્ધના બે સૌથી મહત્વના પાત્ર અલગ-અલગ વાતો કરી રહ્યા છે.
જો કે, યુદ્ધના ત્રીજા પાત્ર ઈઝરાયેલને આ બેઠકો અને દાવાઓ સાથે કોઈ લેવાદેવા નથી; તે પીસ ડીલ હોવા છતાં સતત લેબનાન પર હુમલા કરી રહ્યું છે. હવે સવાલ માત્ર લેબનાન કે ગાઝાનો નથી પણ સમગ્ર મિડલ ઈસ્ટનો (મધ્ય પૂર્વ) છે.
આવા સમયમાં શું ટ્રમ્પની ડિપ્લોમેસી (રાજદ્વારી નીતિ) નેતન્યાહુની મિસાઈલો સામે બેઅસર થઈ ગઈ છે? શું ઈરાનને વાતચીતની ટેબલ પર લાવવા માટે દબાણ લાવવાનો દાવ ખેલાઈ રહ્યો છે? જો ઈરાન લેબનાનના સમર્થનમાં ઉતરશે તો શું મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મહાયુદ્ધ શરૂ થઈ જશે?
રવિવારે ઈરાનના ટોચના રાજદ્વારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમનો દેશ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) ને ફરીથી ખોલવા અને તેની કામગીરી પર દેખરેખ રાખશે. સાથે જ તેમણે આ બાબતમાં કોઈ પણ પ્રકારની દખલગીરી સામે ચેતવણી પણ આપી હતી.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ બગદાદ પ્રવાસ દરમિયાન તેમના ઈરાકી સમકક્ષ ફુઆદ હુસૈન સાથે મુલાકાત કરતા કહ્યું કે, “આ બાબતમાં કોઈ પણ દખલગીરી અથવા ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન દ્વારા અત્યારે કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓથી અલગ કોઈ નવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ માત્રને માત્ર વધુ મુશ્કેલીઓ ઊભી કરશે. આનાથી હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવામાં વિલંબ થશે અને તણાવ વધશે, બરાબર તેવી જ રીતે જેમ પાછલી બે રાતોમાં હોર્મુઝની સામુદ્રધુનીમાં થયેલી ઘટનાઓથી તણાવ અને અથડામણ વધી છે.”
ઈરાને રવિવારે બહેરીન અને કુવૈતને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલો ઇસ્લામિક રિપબ્લિક પર થયેલા અમેરિકી હવાઈ હુમલાના જવાબમાં હતો. સાથે જ ઈરાને ધમકી આપી કે, જો અમેરિકા હુમલા ચાલુ રાખશે, તો યુદ્ધ ખતમ કરવા માટે થઈ રહેલી વાતચીત “સંપૂર્ણપણે અટકી” શકે છે.
ઈરાનનું કહેવું છે કે, આ સામુદ્રધુની પર માત્ર તેનો જ અંકુશ હોવો જોઈએ. પર્શિયન ગલ્ફના (Persian Gulf) આ સાંકડા માર્ગથી ક્યારેક દુનિયાનો પાંચમો ભાગ તેલ અને કુદરતી ગેસનો વેપાર કરતો હતો.
અમેરિકા અને ઈરાન હજુ પણ એક વચગાળાની શાંતિ સમજૂતીની શરતો પર વાતચીત કરી રહ્યા છે. આ શરતોમાં પર્શિયન ગલ્ફના સાંકડા માર્ગથી જહાજોને પસાર કરવા, અમેરિકી નાકાબંધી અને પ્રતિબંધો હટાવવા અને ઈરાનના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના (highly enriched uranium) ભંડારના ભવિષ્ય પર ચર્ચા કરવાનો સમાવેશ થાય છે.
આ મહિનાની શરૂઆતમાં થયેલી સમજૂતી (memorandum of understanding) હેઠળ, અમેરિકા અને ઈરાન પાસે આ વિગતોને આખરી ઓપ આપવા માટે 60 દિવસનો સમય છે. આ હુમલાઓથી સમજૂતી આખરી ઓપ લે તે પહેલાં જ તે નિષ્ફળ જવાનો ખતરો ઊભો થયો છે.