ઈરાનમાં (Iran) કુર્દિશ મહિલાના મોતને લઈને હોબાળો સતત ચોથા દિવસે પણ ચાલુ રહ્યો હતો. અત્યાર સુધીમાં વિરોધ પ્રદર્શનમાં 5 લોકોના મોત થયા છે. એક 22 વર્ષીય મહિલાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. મહસા અમિની નામની મહિલાની પોલીસે હિજાબ ન પહેરવા (Hijab Controversy) અને કથિત રીતે ટ્રાઉઝર યોગ્ય રીતે ન પહેરવા બદલ ધરપકડ કરી હતી, જેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. ઈરાની સરકારે મહિલાના મોત પર થયેલા હોબાળાની નિંદા કરી છે અને પ્રદર્શનો માટે દુશ્મનનું કાવતરું હોવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને મહિલાઓ તેમના હિજાબ સળગાવતી જોવા મળી રહી છે.
કથિત રીતે સરકાર પ્રદર્શનોને દબાવવાની કોશિશ કરી રહી છે અને પોલીસ પ્રદર્શનકારીઓ પર હુમલો કરી રહી છે. પ્રદર્શનકારીઓએ પોલીસ દ્વારા જબરજસ્તી હિજાબ પહેરવા માટે દબાણ કરનારને ભેદભાવપૂર્ણ કહ્યું છે. તેહરાનના ગવર્નર મોહસેન મન્સૂરીએ જણાવ્યું હતું કે લોકોને સંગઠિત, પ્રશિક્ષિત અને તેહરાનમાં ખલેલ પહોંચાડવાના હેતુથી શેરીઓમાં લઈ જવામાં આવ્યા હતા.
ગવર્નરે કહ્યું કે રાષ્ટ્રધ્વજ સળગાવવો, રસ્તાઓ પર ડીઝલ રેડવું, પથ્થરો ફેંકવા, પોલીસ પર હુમલો કરવો, કચરાના ડબ્બાઓમાં આગ લગાડવી, જાહેર સંપત્તિને નષ્ટ કરવી… સામાન્ય લોકોનું કામ નથી. હિજાબ ન પહેરનાર મહિલાના મોતના વિરોધમાં ઈરાનમાં મહિલાઓ પોતાનો હિજાબ ઉતારીને પ્રદર્શન કરી રહી છે અને મહિલાના સમર્થનમાં ઉભી છે. એટલું જ નહીં મહિલાઓ રસ્તાની વચ્ચે પોતાનો હિજાબ પણ સળગાવી રહી છે.
કેટલાક ઈરાની સાંસદોએ દાવો કર્યો હતો કે સાઉદી અરેબિયામાં ઈરાનના દુશ્મનો દ્વારા સમર્થિત સમાચાર સંસ્થાઓ સહિત બહારના લોકો તેમના મોતનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલાના મોતના વિરોધમાં રસ્તા પર ઉતરેલા લોકો કથિત રીતે હિંસક બની ગયા છે. આ દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ પણ કરી છે. પરંતુ મારપીટ અને વિરોધના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં ઘણા વીડિયોમાં ગોળીબારનો અવાજ પણ સંભળાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કુર્દિસ્તાન ક્ષેત્રમાં 221 લોકો ઘાયલ થયા છે અને અન્ય 250 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક 10 વર્ષની બાળકી પણ પ્રદર્શન દરમિયાન ખરાબ રીતે ઘાયલ થઈ હતી અને તેની લોહીથી લથપથ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ તે બાળકી જીવિત છે. ધ ગાર્ડિયનએ રાજ્યથી સંબંધિત ફાર્સ સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ એવું કહેવામાં આવ્યું છે કે મંગળવારે ઈરાનના કુર્દિસ્તાન ક્ષેત્રના ગવર્નર, ઈસ્માઈલ જરેઈ કુશાએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. તેમને દુશ્મન દ્વારા એક કાવતરું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
આ પહેલા વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યા હતા. લોકોએ રસ્તાઓ પર મહિલાની તસવીર સાથે પોસ્ટર પણ લગાવ્યા હતા. આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી પહેલી વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવા માટે ન્યૂયોર્કમાં છે. ન્યૂયોર્કમાં માનવાધિકાર સમૂહ તેની હાજરી સામે વિરોધ કરી રહ્યાં છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે. પરંતુ રાષ્ટ્રપતિએ મહિલાના મોતની તપાસના આદેશ આપ્યા છે અને મહિલાના પરિવાર પ્રત્યે વ્યક્તિગત સહાનુભૂતિ વ્યક્ત કરી છે.