Breaking News: હવે આરપારની જંગ… “તમારું સપનું કબરમાં જશે પણ ઈરાન નહીં નમે”, ઈરાની રાષ્ટ્રપતિએ ટ્રમ્પને આપી ‘અંતિમ ચેતવણી’

અમેરિકા અને ઇઝરાયેલ સાથે વધી રહેલા તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયને ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક ચેતવણી આપી છે. પેઝેશ્કિયને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈરાન પોતાની માટીનો એક ઇંચ ભાગ પણ કોઈને લેવા દેશે નહીં.

Breaking News: હવે આરપારની જંગ... તમારું સપનું કબરમાં જશે પણ ઈરાન નહીં નમે, ઈરાની રાષ્ટ્રપતિએ ટ્રમ્પને આપી અંતિમ ચેતવણી
Image Credit source: PTI
| Updated on: Mar 08, 2026 | 5:37 PM

ઇઝરાયેલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયને ટ્રમ્પને અત્યંત કડક મેસેજ આપ્યો છે. પેઝેશ્કિયને ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે, “ઈરાન પોતાના દેશની માટીનો એક ઇંચ પણ કોઈને લેવા દેશે નહીં.”

રવિવારે એક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનએ જણાવ્યું હતું કે, ઈરાન પોતાની પ્રાદેશિક અખંડિતતા (Territorial Integrity) ની રક્ષા માટે કોઈપણ ભોગે તૈયાર છે. તેમણે કહ્યું કે, “ઈરાન પોતાના દેશની માટીનો એક ઇંચ પણ છોડશે નહીં. ગમે તેટલા પડકારો આવે, અમે અમારી સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરીશું.”

તેમનું આ નિવેદન અમેરિકા-ઇઝરાયેલ દ્વારા ચલાવવામાં આવી રહેલા યુદ્ધ વચ્ચે આવ્યું છે, જેમાં ઈરાન પર મોટાપાયે હવાઈ હુમલા થઈ રહ્યા છે અને તેહરાનની સૈન્ય ક્ષમતાઓને નિશાન બનાવવામાં આવી રહી છે.

ઈરાન વળતો પ્રહાર કરતા અચકાશે નહીં

પેઝેશ્કિયને જણાવ્યું હતું કે, ઈરાન આક્રમક નથી પરંતુ રક્ષણાત્મક સ્થિતિમાં છે. તેમણે પડોશી દેશોને ખાતરી આપી હતી કે, ઈરાન પ્રાદેશિક શાંતિ ઈચ્છે છે પરંતુ જો કોઈ દેશ અમેરિકન કે ઈઝરાયેલના હુમલાઓ માટે પોતાની ધરતીનો ઉપયોગ કરવા દેશે, તો ઈરાન વળતો પ્રહાર કરવામાં જરાય અચકાશે નહીં.

આ નિવેદન તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં ઘણું મહત્વનું છે, જ્યાં ઈરાને અખાતી દેશો (Gulf Countries) પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા પરંતુ પેઝેશ્કિયને અગાઉ માફી માંગી હતી તેમજ હુમલા રોકવાનું વચન આપ્યું હતું. પેઝેશ્કિયને કહ્યું હતું કે, જ્યાં સુધી તે દેશો તરફથી હુમલો નહીં થાય, ત્યાં સુધી ઈરાન પડોશી દેશો પર હુમલો કરશે નહીં.

આત્મસમર્પણનું સપનું પોતાની કબર સુધી લઈ જશે

મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિએ ઈરાની જનતાની એકતાની પ્રશંસા કરી અને કહ્યું કે, દુશ્મનો ઈરાનના આત્મસમર્પણના સપનાને પોતાની સાથે કબરમાં લઈ જશે. તેમણે આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવાધિકારોનો હવાલો આપીને આક્રમણખોરોની ટીકા કરી હતી. આ નિવેદન ઈરાનની “પ્રાદેશિક અખંડિતતાની મજબૂત રક્ષા” કરવાની નીતિને ફરીથી દોહરાવે છે. પેઝેશ્કિયન પહેલા ઈરાનના સેના પ્રમુખ અને બીજા નેતાઓએ પણ આ જ વાત કહી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાન ભેખડે ભરાયું, ઈચ્છા ના હોવા છતા મુસ્લિમ રાષ્ટ્ર ઈરાન સામે લડવું પડશે યુદ્ધ