
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં એકસાથે અનેક દેશો સામે એકલું લડી રહ્યું છે. ગત 28 ફેબ્રુઆરી, 2026 ના રોજ અમેરિકા-ઈઝરાયલના હુમલા પછી, ઈરાને શરૂઆતમાં ખાડી દેશો સામે શ્રેણીબદ્ધ વળતા હુમલાઓ શરૂ કર્યા હતા. જોકે, ઈરાને હવે ખાડી દેશો પર તેના હુમલાઓ ઘટાડી દીધા છે. એવું માનવામાં આવે છે કે ઈરાને પોતાની રણનીતિ બદલી છે.
કેટલાક નિષ્ણાતો કહે છે કે ઈરાનની મિસાઈલો હવે અમેરિકા અને ઈઝરાયલ સામે બિનઅસરકારક થઈ ગઈ છે, કારણ કે તેના ઘણા મિસાઈલ લોન્ચર નાશ પામ્યા છે. અન્ય લોકો દલીલ કરે છે કે ઈરાન, મુસ્લિમ ગલ્ફ દેશો સાથે તેના સંબંધો સુધારવા માંગે છે અને યુદ્ધ લંબાય તો શસ્ત્રોનો ભંડાર જાળવી રાખવા માંગે છે. શસ્ત્રોના વિનિમય ઉપરાંત, ઈરાને વાર્તા યુદ્ધને પણ તીવ્ર બનાવ્યું છે. જ્યારે ઈરાની નેતાઓ વારંવાર ગલ્ફ દેશોને કહે છે કે, ઈરાન તેમની વિરુદ્ધ નથી, પરંતુ તેમના દેશમાં અમેરિકાએ સ્થાપેલા સૈન્ય અડ્ડાઓ ઉપર હુમલાઓ કરે છે. આવા સંજોગોમાં ઈરાન અમેરિકન જનતાને પણ કહી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમને બીજા દેશના યુદ્ધમાં ખેંચી રહ્યા છે.
યુદ્ધની શરૂઆતમાં, ઈરાને ઈઝરાયલ સહિત ગલ્ફ દેશોમાં આવેલા યુએસ લશ્કરી થાણાઓ અને દૂતાવાસો પર મિસાઈલોનો હુમલો કર્યો, જેનાથી લોકોને આઘાત લાગ્યો. આનાથી ગલ્ફ દેશોની પોતાની સિસ્ટમ પણ ખોરવાઈ ગઈ. સલામત ક્ષેત્ર ગણાતા દુબઈમાં બધું જ ખોરવાઈ ગયું. આ પછી, ગલ્ફ દેશો આગળ આવ્યા અને ઈરાનના બદલો લેવાના હુમલાઓને રોકવાનું શરૂ કર્યું. તેમણે ઈરાનને ચેતવણી પણ આપી કે તેઓ અમેરિકાને તેમના પ્રદેશનો ઉપયોગ કરવા દેતા નથી. તેથી, ઈરાને કારણ વગર તેમના પર હુમલો ન કરવો જોઈએ.
ખામેનેઈના મૃત્યુથી નિરાશ થઈને, ઈરાને શરૂઆતમાં ગલ્ફ દેશોની સલાહને અવગણી અને તેના હુમલા ચાલુ રાખ્યા. બાદમાં, જ્યારે આ દેશોએ પોતાનો બચાવ શરૂ કર્યો, ત્યારે ઈરાન પરિસ્થિતિ સમજી ગયુ. ઈરાનને લાગ્યું કે તેઓ ત્યાં તેની મિસાઈલો અને ડ્રોનનો નકામો નાશ કરી રહ્યા છે. હવે, ઈરાન આ દેશો સાથે તેના સંબંધો સુધારવા માટે કામ કરી રહ્યું છે.
અગાઉ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને કહ્યું હતું કે, તેઓ યુદ્ધ ટાળવા માંગે છે, પરંતુ તેમને તેમાં મજબૂર કરવામાં આવ્યા છે. મસૂદ પેઝેશ્કિયાને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં લખ્યું હતું, “અમારા મિત્રો અને પડોશી દેશોના નેતાઓ, અમે તમારી સાથે અને રાજદ્વારી દ્વારા યુદ્ધ ટાળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ યુએસ-ઇઝરાયલી લશ્કરી હુમલાએ અમને પોતાનો બચાવ કરવાની ફરજ પાડી છે.” તેમણે પડોશી દેશોને કહ્યું, “અમે તમારા અધિકારોનું સન્માન કરીએ છીએ અને માનીએ છીએ કે આ ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા ફક્ત તેના દેશોના સામૂહિક પ્રયાસો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.”
નોંધનીય છે કે, ઈરાની સંગઠન, ફાઉન્ડેશન ઓફ માર્ટીર્સ એન્ડ વેટરન્સે જણાવ્યું છે કે, ઈરાનમાં યુદ્ધ શરૂ થયા પછી 1,045 મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે. અગાઉ, ઈરાની વિદેશ પ્રધાન અરાઘચીએ પણ યુએસ પ્રમુખ ટ્રમ્પ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના યુદ્ધ અંગેના નિવેદનો અલગ હતા. ટ્રમ્પે કહ્યું કે તેમને વિશ્વાસ હતો કે ઈરાન પહેલા હુમલો કરશે, તેથી જ તેમણે ઈરાન પર હુમલા શરૂ કર્યા. દરમિયાન, માર્કો રુબિયો દાવો કરે છે કે, તેમને ડર હતો કે ઈરાન ઈઝરાયલ પર હુમલો કરશે, તેથી જ તેમણે ઈઝરાયેલ સાથે એકતા દર્શાવવા માટે ઈરાન પર હુમલો કર્યો.
નિષ્ણાતોના મતે, ઈરાનના સતત હુમલાઓને કારણે બેલિસ્ટિક મિસાઈલ લોન્ચની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ઈરાન પાસે હવે ફક્ત થોડા દિવસનો જ ફાયરપાવર બાકી છે. જો કે, તેઓએ સૂચવ્યું કે ઈરાન યુદ્ધને લંબાવવા માટે જાણી જોઈને આવું કરી રહ્યું હશે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના અધિકારી બ્રેડ કૂપર કહે છે કે, સેંકડો બેલિસ્ટિક મિસાઈલ લોન્ચર અને ડ્રોનને નિશાન બનાવવામાં આવ્યા પછી, મધ્ય પૂર્વમાં અમેરિકા અને તેના ભાગીદારોને નિશાન બનાવવાની ઈરાનની ક્ષમતા ઘટી રહી છે. સેન્ટરકોમના અહેવાલ મુજબ ઈરાનમાં મિસાઈલ લોન્ચમાં 86 ટકાનો ઘટાડો થયો છે. તેમનો દાવો છે કે ચાર દિવસમાં ઈરાનના મિસાઈલ લોન્ચમાં 86 ટકા અને ડ્રોન લોન્ચમાં 76 ટકાનો ઘટાડો થયો છે. સેન્ટરકોમે એમ પણ કહ્યું કે યુએસ દળોએ 20 થી વધુ ઈરાની જહાજોને ડૂબાડી દીધા છે.
નિષ્ણાતો કહે છે કે અમેરિકા અને ઇઝરાયલી દ્વારા લોન્ચ સાઇટ્સ અને ઉત્પાદન સુવિધાઓ પર હુમલાઓને કારણે ઇરાની બેલિસ્ટિક મિસાઇલ લોન્ચની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે ઇરાન ડ્રોન જેવી સસ્તી સિસ્ટમનો ઉપયોગ કરીને તેના હુમલા ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનાથી તે બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ સંયમિત અને વધુ ચોક્કસ સ્થાને કરી શકે છે. બેલિસ્ટિક મિસાઇલો ઇરાનના શસ્ત્રાગારમાં સૌથી ખતરનાક હથિયાર છે. જોકે ઇરાન ઇઝરાયલ પર હુમલો કરવાનું ચાલુ રાખે છે, તેમ છતાં ગલ્ફમાં તેના હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.